રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
રાજપીપલા નગરપાલિકાના પટાંગણમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પહોંચતા અધ્યક્ષસ્થાનેથી સભાને સંબોધતા ન.પા. ઉપપ્રમુખ ગિરીરાજસિંહ ખેરે જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ જેવી આશીર્વાદરૂપી યોજનાએ હજારો-લાખો પરિવારોને નવજીવન આપ્યું છે. સરકારની વિવિધ યોજનાઓથી લોકોના જીવનધોરણમાં આમુલ પરિવર્તન આવ્યું છે. વધુમાં સરકારની બહુમૂલ્ય યોજનાઓના લાભનું મહત્વ વધુમાં વધુ લાભ લેવા ખેરે નગરજનોને અનુરોધ કર્યો હતો.
આ તકે નગરજનોએ યોજનાઓની માહિતીસભર ફિલ્મ નિહાળીને વિકસિત ભારતની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ યોજનાકીય લાભોથી થયેલા સકારાત્મક બદલાવ અંગેના અનુભવો સભામંડપમાં બેઠેલા નગરજનો સમક્ષ રજુ કર્યા હતા. વધુમાં નગરજનોએ આરોગ્ય, આઇસીડીએસ સહિત શહેરી યોજનાઓ અંગે નગરજનોને માહિતગાર કરવા ઉભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.ડી.બારડ, રાજપીપલાના ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા, ન.પા. સદસ્યો, સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.