ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
બેડાતનો કિશોર ત્રણ દિવસથી ગુમ હતો કિશોરની પથ્થર બાંધેલી લાશ વાંકલેશ્વર ડેમમાંથી મળી આવી.. હત્યાની આશંકાથી પોલીસ કાફલો ખડકાયો
મળતી વિગતો મુજબ ધાનપુર તાલુકાના બેડાત ગામના 12 મા ધોરણમાં ભણતા કિશોરનો વાંકલેશ્વર ડેમમાંથી કમરે પથ્થર બાંધેલો મૃતદેહ મળી આવતાં પંથકમાં ખળભળાટ સહિત પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઈ હતી . હત્યાની ઘટનાની આશંકાથી એલસીબી સહિતનો મોટો કાફલો ખેડાત ખડકાઈને તપાસમાં જોતરાયો હતો . આ કિશોરની કમરે પથ્થર બાંધીને ફેંકી દેવાયો છે કે તેણે જાતે જ આપઘાત કર્યો છે તે અંગેની તપાસ સાથે હાલ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે . ધાનપુર તાલુકાના બેડાત ગામના કાળીયા ફળિયામાં રહેતો મહેન્દ્ર મનુભાઈ પટેલ 12 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો . 22 મી તારીખે સવારના 9.30 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તે પરત આવ્યો ન હતો . પરિવારના લોકોએ શોધખોળ છતાં કોઇ જ પત્તો નહીં મળતાં સોશિયલ મિડિયા ઉપર પણ તે ગુમ થયો હોવાનું તેના ફોટો સાથે વાયરલ કરવામાં આવ્યુ હતું . 25 મી તારીખની સવારના 11.30 વાગ્યાના અરસામાં બેડાત ગામે વાંકલેશ્વર ડેમમાં એક લાશ તરતી જોવા મળી હતી . જેની ખરાઈ કર્યા બાદ ધાનપુર તાલુકાના બેડાત ગામના કાળીયા ફળિયામાં રહેતો મહેન્દ્ર મનુભાઈ પટેલની લાશ હોવાની વાત સામે આવી હતી.