ગુજરાત સરકાર ની ૧૦મી ચિંતન શિબિરના તૃતીય દિવસે જૂથ ચર્ચા નિષ્કર્ષ સત્ર યોજાયુ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

વિવિધ વિષયો પર રચાયેલા પાંચ જૂથોએ મનોમંથન બાદ પોતાના નિષ્કર્ષ રજૂ કર્યા: મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ

પ્રેઝન્ટેશનને અંતે મંત્રી ઓ અધિકારીઓએ પોતાના સૂચનો આપી તારણોને વધુ સમૃદ્ધ બનાવ્યા

એકતા નગર ખાતે યોજાઇ રહેલી દસમી ચિંતન શિબિરના તૃતીય દિવસે વિવિધ જૂથોએ તેમને સોંપાયેલા વિષયોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર મનોમંથન બાદ આજે વરિષ્ઠ અધિકારીઓએ પોતાના જૂથ વતી નિષ્કર્ષો રજૂ કરતું પ્રેઝન્ટેશન આપ્યું હતું.

*આરોગ્ય અને પોષણ*

આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલ અને રાજકોટના કલેક્ટર  પ્રભવ જોશીએ આરોગ્ય અને પોષણ વિષયે થયેલ જૂથ ચર્ચાના નિષ્કર્ષનું પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું કે, આરોગ્ય અને પોષણના તમામ સૂચકાંકો એકબીજા સાથે ગહનતાથી જોડાયેલા હોઈ, વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવાની જરૂરિયાત છે.

અગ્રવાલે આવનારા પાંચ વર્ષમાં બાળ મૃત્યુ દર ઘટાડીને ૧૨ થી ઓછો કરવો તથા માતા મૃત્યુ દર ઘટાડીને ૨૭ થી ઓછો કરવો, સ્ટન્ટીંગ અને વેસ્ટિંગ ઘટાડવા તથા એનીમિયાનું પ્રમાણ ઘટાડવા માટેના ઉપાયો પર વિચારો રજૂ કર્યા હતા.

જુથ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં સ્કૂલ/ આંગણવાડીને પોષણ અભિયાનનું નોડલ પોઇન્ટ બનાવવા, પ્રવેશોત્સવ અને ગુણોત્સવ સાથે પોષણોત્સવનું પણ આયોજન કરવું, “એનિમિયા મુક્ત શાળા”/ “વજન વધારવું ” જેવી સ્પર્ધાઓ યોજવી, સબ સેન્ટર/વન સ્ટોપ સખી સેંટર ઉપર લગ્ન પહેલા –  પછી  કાઉન્સેલિંગની સુવિધા આપવી, જોખમી પ્રેગ્નન્સીના વહેલાસર નિદાનને પ્રાથમિક માપદંડ બનાવવું,
સોનોગ્રાફીનો વ્યાપ વધારવો, જોખમ ધરાવતી સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોના વાલીઓનું કાઉન્સેલિંગ કરવું જેવા સુઝાવો આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત “આપણા દ્વાર સારવાર” ના મંત્રને સાર્થક કરવા બાળ સખા યોજનાને PMJAY ના પરિપેક્ષ્યમાં સુદ્રઢ કરવી, બાળકોના ખોરાક પોષણક્ષમ બને તે માટે સરગવા, ખજૂર તથા ફળોનો આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં મહત્તમ ઉપયોગ કરવો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવી, મમતા દિવસ અને મંગલ દિવસે આયુષની સેવાઓ ઉપલબ્ધ કરાવવી જેવા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

*ગુજરાતનાં શાળાકીય શિક્ષણમાં ગુણાત્મક સુધારણા*

રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણ પાયાની જરૂરિયાત છે જેને ઉત્તરોત્તર સુધારીને ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા આશય સાથે શિક્ષણક્ષેત્રે ગુણાત્મક સુધારણા અંગે શિક્ષણ વિભાગના સચિવ  વિનોદ રાવ અને નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા તેમના જુથ વતી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૩ સુધીમાં પાયાના વાંચન, લેખન અને ગણનનાં કૌશલ્યોની પ્રાપ્તિ સુનિશ્ચિત કરવા, ધો.૮ સુધીમાં વિધાર્થીઓ ધોરણ અનુસાર અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરતાં થાય તે સુનિશ્ચિત કરવા, ધોરણ 8 થી ધોરણ 12 સુધીના નેટ એનરોલમેન્ટ રેટ (NER)માં સુધારો, તમામ શાળાઓમાં શિક્ષકોની કાર્યદક્ષતા અને જવાબદારીમાં સુધારો કરવા, અધ્યયન અને અધ્યાપનમાં સુધારા માટે શાળાકીય માળખામાં જરૂરી સુધારાઓ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, અધિકારીઓએ પોતાના મંતવ્યોમાં બાળકોના માનસિક વિકાસ, ભૂલકાઓની સમજ કેળવી શકાય તે માટે આંગણવાડીમાં વાર્તાલાપ, ગીત-સંગીત, ચિત્ર, રમતો, નિરીક્ષણવૃત્તિને પ્રોત્સાહન આપવા સૂચન કર્યું હતું. બાળકોમાં સંસ્કાર, સદગુણો અને સમજ કેળવવા, શિક્ષકોને તાલીમ આપવા, બાળકોમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ઉત્તરોત્તર ઘટાડો થાય તેના વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

*ગ્રામીણ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણ*

ગ્રામીણ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણ વિષય પર પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ તથા વિકાસ કમિશનર  સંદીપ કુમારે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં પંચાયતમાં સર્વગ્રાહી વિકાસ માટે થયેલ મનોમંથન સહિત ક્ષમતા વૃદ્ધિ, તકનીકી ક્ષમતા વધારવા, પંચાયતોની નાણાકીય ક્ષમતામાં વધારો, પંચાયતની મિલકતનું સંચાલન અને જાળવણી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સૂચનો રજૂ કરાયા હતા.

પ્રેઝન્ટેશન બાદ ચર્ચામાં પ્લાસ્ટિક વેસ્ટ વ્યવસ્થાપન, ઘન કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ પ્રત્યે વધુ સભાનતા કેળવવા જેવા પ્રશ્નો અંગે મંત્રીઓ, અધિકારીઓ દ્વારા પોતાના અનુભવો-મંતવ્યોને રજૂ કરવામાં આવ્યા હતા.

*શહેરીકરણ અને માળખાકીય વિકાસ*

શહેરીકરણ અને માળખાકીય વિકાસ વિષયને લગતા મુદ્દા પર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ શ્રી સુધીર કુમાર, કચ્છ જિલ્લા કલેકટર  અમિતકુમાર અરોરા અને ભાવનગર કલેક્ટર  આર.કે. મહેતાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

ઔદ્યોગિક વૃદ્ધિના કેન્દ્રો તરીકે શહેરોનું મહત્વ અનન્ય છે એમ જણાવી તેમણે પર્યાવરણ વ્યવસ્થાપન અને ઘનકચરા નિકાલ, નાણાકીય અને વહીવટી વ્યવસ્થાપન અંગે જૂથના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શહેરોને કોમ્પેક્ટ સિટી બનાવવા નક્કર આયોજન કરવું જરૂરી છે. ખાસ કરીને કચરાને અન્ડરગ્રાઉન્ડ નિકાલ કરવાથી જમીન પ્રદુષણ અને જમીનમાં રહેલા પાણીને પણ પ્રદૂષિત કરે છે, એટલે જમીની કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી છે.

સ્વચ્છ અને સુઘડ શહેરોની સાથે પર્યાવરણની સ્થિતિ પણ જળવાઈ રહે તે રીતે શહેરોનો સુનિયોજિત વિકાસ થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે, ત્યારે તેમણે શહેરી વિકાસને વેગવંતો બનાવવા શહેરો માટેની વાયબ્રન્ટ સિટી સમિટ-કોન્કલેવ સમયાંતરે યોજવાનું રચનાત્મક સૂચન કર્યું હતું.

*સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ*

સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ અંગે થયેલી ચર્ચાઓ બાદ તેમાંથી સામે આવેલા વિવિધ મુદ્દાઓ અંગે અધિક મુખ્ય સચિવ  કમલ દયાની, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ  મોહંમદ શાહિદ અને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત-ગાંધીનગર (D-SAG)ના સી.ઈ.ઓ.  સુપ્રિત સિંઘ ગુલાટીએ જૂથ વતી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે કર્મયોગીઓના કામની ગુણવત્તા વધારવા જરૂરી તાલીમના એજન્ડા નક્કી કરી તબક્કાવાર તાલીમનું આયોજન કરવા સૂચન કર્યું હતું. તેમણે તાલીમનો સમયગાળો અને તેના માટેના સુચિત માપદંડો પણ દર્શાવ્યા હતા.

આ ઉપરાંત તેમણે સરકારી સેવામાં જોડાતા કર્મયોગીઓને પ્રથમ વર્ષમાં જ તાલીમ આપવા ઉપરાંત પ્રમોશન વખતે પણ તાલીમ આપવાનું સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કર્મયોગીઓમાં લીડરશીપની ભાવના પેદા થાય તે માટે રાષ્ટ્રીય કક્ષાની કે આંતરરાષ્ટ્રિય કક્ષાની માન્યતા પ્રાપ્ત સંસ્થામાં તાલીમ આપવા પ્રયાસો કરવા જોઈએ.

આ ઉપરાંત, કર્મયોગીના ક્ષમતા નિર્માણ માટે તાલીમી સંસ્થાઓના માળખાકીય સુવિધાઓમાં પણ ફેરફાર કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું કેમ્પસ બનાવવા માટેના વિચારો રજૂ કરાયા હતા. ડિજિટલ લાઈબ્રેરીના નિર્માણ થકી કર્મયોગીઓને તાલીમી સાહિત્ય અને વાંચન સામગ્રી પૂરી પાડી શકાય જેથી કર્મયોગી પોતાની ફરજો દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા માટેની નિપૂણતા કેળવી શકે.

પ્રેઝન્ટેશન બાદના અર્ક સ્વરૂપે વિવિધ વરિષ્ઠ અધિકારીઓએ સરકારી કામગીરી પ્રક્રિયાને રિસ્પોન્સીવ, ડિસીસીવ, ટ્રાન્સપરન્ટ અને વિજીલન્ટ બનાવવા માટે તેમજ અધિકારી-કર્મચારીઓના ક્ષમતા નિર્માણ પર ભાર મૂક્યો હતો. સાથોસાથ કર્મયોગ અને કૌશલ્યવર્ધન દ્વારા સુશાસનનો માર્ગ કંડારવાના પ્રગતિકારક સૂચનો પણ આપ્યા હતા.

મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ તમામ પ્રેઝન્ટેશન ધ્યાનપૂર્વક નિહાળ્યા હતા તેમજ પ્રેઝન્ટેશનના અંતે પોતાના પ્રતિભાવો આપીને ચર્ચાને વધુ સમૃદ્ધ બનાવી હતી. તમામ પ્રશ્નોના સકારાત્મક અભિગમ સાથે પરિણામલક્ષી નિરાકરણ લાવવાની ટીમ ગુજરાતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here