કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કોવિડ ટેસ્ટિંગ કાર્ડ નહીં હોય તો તેવી તમામ સંસ્થા ,દુકાન બંધ કરાવવામાં આવશે તેવી જાહેરાત વિવાદનું કેન્દ્ર
કાલોલ નગરમાં વહીવટીતંત્ર દ્વારા કોરોના સામે જંગ લડવા માટે ૨૩ જેટલી જુદી જુદી ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેની કામગીરી ચાલુ છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલી એક જાહેરાત વિવાદનું કેન્દ્ર બની રહી છે જાહેરાતમાં જણાવ્યા મુજબ ફેરિયાઓ અને દુકાનદારોએ સંસ્થા અને વ્યવસાયકારો એ આજે જ નજીકના ત્રણ તપાસ કેન્દ્રો પૈકી કોઈ એક કેન્દ્ર ઉપર જઈને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવાનો અને ટેસ્ટ નું પ્રમાણપત્ર અને પોતાની દુકાને નોંધણી પ્રમાણપત્રની સાથે રાખવું (ચોટાડવું) તેવો આદેશ આપવામાં આવ્યો છે. અને ત્રણ તપાસ કેન્દ્રો ના સરનામા અને ડોક્ટરના નામ મોબાઈલ નંબર સાથે આપેલા છે.વધુમાં જણાવ્યું છે કે વહીવટી તંત્ર દ્વારા તપાસ દરમિયાન કોઈપણ વેપારી, દુકાનદાર, સંસ્થા, વ્યવસાયકાર , ફેરિયા દ્વારા આવું પ્રમાણપત્ર એટલે કે કોવિડ ટેસ્ટિંગ કાર્ડ જોવા નહીં મળે તો તેવી સંસ્થા, વ્યવસાય ,દુકાન ,લારી બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સદર બાબતે કાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉપરથી આવેલી સૂચના મુજબ આવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સરકાર દ્વારા જબરજસ્તીથી કોરોના ના ટેસ્ટ કરાવવાના આદેશો આપવામાં આવ્યા છે. જો હા હોય તો જાહેરાતોમાં ધમકીભર્યા શબ્દો વાપરવાની સરકારને કેમ જરૂર પડી? જોકે કાલોલના કેટલાક નાગરિકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ટેસ્ટ કરાવવો કે ન કરાવવો એ કોઈપણ નાગરિક નો પોતાનો અધિકાર છે તેમાં કોઈ બળજબરી ન હોઈ શકે.