ધારાસભ્યશ્રી જયદ્રહસિંહજી પરમારની ઉપસ્થિતિમાં જનસુખાકારીના કામોને અગ્રતા આપી જનહિતને લગતા પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરતાઃ જિલ્લા કલેકટરશ્રી
વીજળી,જમીનને લગતા પ્રશ્નો,દસ્તાવેજ, પાણી,આરોગ્યને લગતા વિવિધ પ્રશ્નોની કામગીરીની કરાઈ સમીક્ષા
પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રી જયદ્રહસિંહજી પરમાર તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટરશ્રી કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો,સરકારશ્રી તરફથી વિવિધ કચેરીઓને સોંપાયેલ ૧૦૦ દિવસની કામગીરીની પ્રગતિ વગેરે વિષયો પર જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.
આ બેઠકમા ધારાસભ્યશ્રી જયદ્રહસિંહજી પરમાર દ્વારા ગત વિવિધ પ્રશ્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં અગાઉના વીજળી,જમીન દસ્તાવેજ,પાણી,આરોગ્યને લગતા પ્રશ્નો,કામદારોના પ્રશ્નો બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે મદદનીશ શ્રમ આયુકતશ્રી એમ.જે.સોનીએ જિલ્લામાં ઈ- શ્રમ પર થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં અત્યારસુધી જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં ૩ લાખ ૮૦ હજારથી વધુ લોકોના ઈ- શ્રમ કાર્ડ નીકાળવામાં આવ્યા છે.દરેકના ઈ- શ્રમ કાર્ડ સમયમર્યાદામાં નીકળી જાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમાએ કર્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા, સર્વશ્રી પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.