ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાળકોના અધિકાર અંગે બેઠક યોજાઇ
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ભારત સરકાર અને પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે આજ રોજ જિલ્લા સેવાસદન ગોધરા, કલેકટર કચેરી હોલ ખાતે કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ અંતર્ગત બેઠક યોજાઇ હતી.
જેમાં કલેકટરશ્રી અને અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા સબંધીત અધિકારો ગણો સાથે સુચારુ સલાહ સૂચનો કરાયા હતા જે અંતર્ગત બાળકો અંગેની બાળ મજુરી, બાળ ભિક્ષાવૃત્તિ, ચાઇલ્ડ ટ્રાફીકીંગ, ઘરેલુ હિંસાથી પિડીત બાળકો, સરકારી તેમજ બિન સરકારી નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ, છાત્રાલયોમાં બાળકો અંગે ગેરરીતિ, શાળાઓમાં પાયાની જરૂરીયાતોના અભાવ, શાળાઓમાં એક સાથે ફી ભરવા માટે દબાણ અંગે, શાળાઓમાં બાળકોને શારીરિક યાતનાઓ બાબત, શાળાઓમાં બાળકોના નામ નોંધણી અંગેના પશ્નો, દિવ્યાંગ બાળકો, બાળકો સાથે ભેદભાવ, બાળકોનું યૌન શોષણ, બાળકોની સારવારમાં તબીબી પ્રક્રીયામાં બેદરકારી, બાળકોના કુપોષણ, મધ્યાહન ભોજન જેવી બાળકોના આરોગ્ય શિક્ષણ, સુરક્ષા જેવા અધિકારો બાબતે યોગ્ય પગલાં ભરવા અને સુચારુ આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે એન.સી.પી.સી.આર ટેકનિકલ એક્સપર્ટ શ્રીમતી હિમાનીબેન દ્વારા પણ ઉપસ્થિતો સાથે ચર્ચા વિચારણા કરાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળસુરક્ષા અધિકારીશ્રી, બાળકોના અધિકાર લઈને એનજીઓના પ્રતિનિધિઓ સહિત સબંધીત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.