સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
પાલનપુર વિભાગીય નિયામકનો આદેશ
સિદ્ધપુરમાં સુવિદ્યાસજ્જ નવીન બસસ્ટેશન હોવા છતાં અન્ય ડેપો,ડિવિઝનની મોટાભાગની બસો સિદ્ધપુર બસસ્ટેશનમાં આવતી નથી.બસોનું સંચાલન સિદ્ધપુર હાઇવેથી બાયપાસ કરવામાં આવે છે.જેના કારણે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને પારાવાર હાડમારીઓ વેઠવી પડતી હોય છે.જે અંગે વારંવાર ફરિયાદો પાલનપુર વિભાગ ખાતે કરવામાં આવતી હોવાથી વિભાગીય નિયામક કે.એસ.ચૌધરીએ પોતાના વિભાગના સાતેય ડેપો સહિત રાજ્યના બાકીના પંદર વિભાગની સિદ્ધપુર હાઈવેથી બાયપાસ જતી તમામ બસોને સિદ્ધપુર બસસ્ટેશનને થઈ સંચાલન કરવા લેખિત આદેશ કર્યો હોવાનું જાણવા મળેલ છે.
મોટાભાગની બસો સિદ્ધપુર હાઈવેથી જતી હોવાથી વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને પારાવાર તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.હાઇવેથી શહેરમાં જવા-આવવા માટે અન્ય કોઈ સુવિધાઓ ના હોવાથી રિક્ષાઓવાળા મનફાવે તેવા ભાડા ઉઘરાવતા હોય છે…તેમાંય વહેલી સવારે કે મોડી સાંજે રિક્ષાઓ પણ મળતી નથી અને જો મળે તો મસમોટી રકમનું ભાડું ખંખેરી લેતા હોય છે.રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થી વર્ગને વધારાનો આ દૈનિક ખર્ચ આ મોંઘવારીમાં પોસાય નહિ તે પણ સ્વાભાવિક છે. બીજું કે અગાઉ સિદ્ધપુર બસ સ્ટેન્ડ ખૂબ અંદર હતું અને ટ્રાફિકની પણ જટિલ સમસ્યા હતી..પરંતુ હવે નવીન ડેપો હાઈવે નજીક છે તેમજ ત્યાં સુધીનો રસ્તો પણ દ્વિ-માર્ગી અને પહોળો બનાવાયો છે.આ તમામ બાબતોને અનુલક્ષીને હાઈવેથી બારોબાર જતી તમામ બસો સિદ્ધપુર ડેપો માંથી ફરજીયાત સંચાલન કરવા લેવાયેલા મુસાફર-વિદ્યાર્થીલક્ષી આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે.પરંતુ સાથોસાથ તેનો કડક અમલ કરાવાય તેવી પણ માંગ ઉઠવા પામી છે. સિદ્ધપુર હાઇવેથી જતી તમામ પ્રકારની બસસર્વિસો સિદ્ધપુર બસસ્ટેશન થઈ સંચાલન કરી મુસાફરો વિદ્યાર્થીઓ લેવા-ઉતારવા તેમજ વિભાગના ડેપોની ચાલતી તમામ બસોના ક્રું ને સુચના આપી સૂચના રજીસ્ટરમાં સહિ મેળવી અમલવારી કરાવવા તેમજ આ બાબતે હવેથી કોઈ ફરિયાદ ઉપસ્થિત થાય નહિ તેની તકેદારી રાખવા આદેશ કરાયો હોવાનું જાણવા મળેલ છે.