સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુર નગર પ્રાથમિક શિક્ષક સંઘ ઘટકના નેજા હેઠળ સિદ્ધપુર નગર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો સજ્જતા સર્વેક્ષણ થી અળગા રહેતા તેનો ફિયાસ્કો થયો હતો. સિદ્ધપુરની કન્યા શાળા નં.2 માં આજરોજ લેવાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માં 88 શિક્ષકો બેસનાર હોવાથી તેને ધ્યાને રાખી 5 બ્લોક તેમજ બ્લોક સુપરવાઈઝરની ફાળવણી કરવામાં આવી હતી.જેના સ્થળ સંચાલક તરીકે સીઆરસી ધીરજભાઈ સોલંકીની નિમણુંક કરવામાં આવી હોવાનું નગર શાસનાધિકારી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું. સિદ્ધપુર નગર પ્રાથ.શિક્ષણ સમિતિના તમામ 88 શિક્ષકો જોકે અગાઉથી જ પરીક્ષાથી અળગા રહેવા પ્રતિજ્ઞાપત્ર ભરી આ સજ્જતા સર્વેક્ષણ સામે મેદાને પડ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી 4200 ગ્રેડ પે ના ઉચ્ચતર પગાર ધોરણ અંગેની યોગ્ય સ્પષ્ટતા ના કરાતી હોવા ઉપરાંત સમાન કામ સમાન વેતનની માંગ સાથે શિક્ષકો સાગમટે સજ્જતા સર્વેક્ષણથી અળગા રહ્યા હોવાનું સંઘના પ્રમુખ હરગોવનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.1996 થી 2003 સુધીના અમારા 37 શિક્ષકોને ગ્રેડ પે અન્વયે અન્યાય થતો હોવાથી તેમના ટેકામાં તમામ 88 શિક્ષકો સ્વેચ્છાએ સજ્જતા સર્વેક્ષણમાં બેઠા નથી તેવું તેઓએ ઉમેર્યું હતું.આ સજ્જતા સર્વેક્ષણ યોજવા માટે 3300 રૂપિયા જેટલો કરાયેલ વહીવટી ખર્ચ એળે જતા આ સરકારી નાણાંનો પણ વ્યય થયો હોવાનું જાણવા મળેલ છે.