કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકકાસ, ન્યુ જર્સીમાં વસતા શ્રદ્ધાળુ હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત મંડળ સહિતનું પરમ ઉલ્લાસભેર ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને ભવ્યતા અને દિવ્યતા સભર રથમાં બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઈપ બેન્ડે આનંદમય સૂરાવલિના સૂરો રેલાવી પરમ ઉલ્લાસભેર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ મંદિરમાં પધારતાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકકાસ, ન્યુ જર્સીમાં વસતા નાનાં બાળકોએ સ્વાગત નૃત્ય કરી તથા નાની બાલિકાઓએ કીર્તનગાન કરીને બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આ સાથે કેક કટિંગની ઉજવણી પણ કરવામાં આવી હતી.
આ પાવનકારી પ્રસંગે હડસન કાઉન્ટી વેઈટ એન્ડ મેઝર સેરીફસ ઓફિસના ડાયરેકટર એકટીંગ સુપરિન્ટેન્ડેન્ટ ફ્રેન્ક અલોન્સો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આવા ભોગવિલાસવાળા દેશમાં સત્સંગના સંસ્કાર મળી રહે તે માટે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે મંદિરનું સર્જન કરી આપ્યું છે. માણસ પોતાના જીવનમાં અઢળક ધન મેળવી શકે છે પણ જીવનમાં સત્સંગના સંસ્કાર મળે એ જ સૌથી દુર્લભ વાત છે. એવા સંસ્કાર જીવ સહેજે પામી શકે તેટલા માટે આવાં મંદિરોનાં સર્જન કર્યા છે. આવા દિવ્ય પાવનકારી અવસરનો દેશ વિદેશનાં હરિભક્તોએ ભકિતભાવ પૂર્વક પરમ ઉલ્લાસભેર લ્હાવો લીધો હતો.