શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ
શહેરામા ધારાસભ્યના કાર્યાલય ખાતે પ્રાંત અધિકારી જય બારોટ અને ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક જયેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માનવ આરોગ્યની જેમ પશુ આરોગ્ય ઈમરજન્સી માટે 1962 ટોલ ફ્રી નંબર પર પશુપાલક કોલ કરશે તો વિનામૂલ્ય બિમાર પશુઓની સારવાર કરવામાં આવનાર છે. જ્યારે આ મોબાઈલ વાહન પશુ દવાખાનુ તાલુકાના અણીયાદ ગામ ખાતેથી સંચાલન કરવામાં આવનાર છે. અને આ સ્થાનિક ગામ સહિત આજુબાજુના નરસાણા, બોડીદ્રા, ગુણેલી, ધાયકા, બામરોલી, ખરેડીયા સહિતના આજુબાજુના દસ જેટલા ગામોના પશુપાલકોના 40,845 પશુઓને લાભ મળશે તેમ છે. તાલુકામાં મોબાઈલ વાહન ફરતુ પશુ દવાખાનાનો પ્રારંભ થવાથી કોઈ પશુને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અથવા બીમાર હશે તો સમયસર સારવાર મળવાથી તેનો જીવ બચી શકશે. જ્યારે આ લોકાર્પણ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ભરત કુમાર ગઢવી, જીલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.