શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ
શહેરા તાલુકાના પાનમ ડેમના 5 અને 6 નંબરના ગેટ બે ફૂટ ખોલીને 4000 ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાનમ ડેમની જળ સપાટી 122.50 મીટરે પહોંચી હતી…
શહેરાના નાથુજીના મુવાડા પાસે આવેલ વણાંકબોરી ડેમમાં પાણીની જરૂરીયાત હોવાથી પાનમ જળાશયમાંથી પાણી છોડવા માટેનો નિર્ણય પાનમ સિંચાઇ વિભાગ દ્વારા લેવામાં આવ્યો હતો. પાનમ સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર વિરેન્દ્રસિંહ.આર. તલાર સહિત સ્ટાફની ઉપસ્થિતિમાં પાનમ ડેમનો 5 અને 6 નંબર દરવાજો બે ફૂટ સુધી ખોલીને 4000 ક્યુસેક પાણી વણાંકબોરી વિયર ડેમમા છોડવામાં આવ્યું હતું. પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાનમ ડેમના નદી કાંઠા વિસ્તારના બોરિયા સહિતના દસ જેટલા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા. સાથે નદીના કિનારે ન જવા માટે ગ્રામજનોને સૂચના અપાઇ હતી. પાનમ જળાશય માંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા ડેમની જળસપાટીમા 5 સે.મી ઘટાડો થતા 122.50 મીટર જોવા મળી હતી. જ્યારે મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.