“વરસાદ ખેંચાવાના કારણસર પાક નુક્શાન અટકાવવા માટે લેવાના થતા પગલા બાબતે માર્ગદર્શન”

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

હાલમાં, છોટાઉદેપુર જીલ્લામાં ખરીફ ઋતુમાં,આજની સ્થિતિએ કુલ સરેરાશ વાવેતર વિસ્તાર ૧૮૫૬૪૬ હેકટરની સામે કુલ ૧૮૫૪૧૮ હેકટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલ છે. જેમાં મુખ્યત્વે કપાસ – ૧.૧૧ લાખ હે., તુવેર – ૧૫૦૮૧ હૈ, ડાંગર -૧૪૫૨૭ હેકટર, સોયાબીન- ૧૩૮૧૫ હેકટર તથા મકાઈ-૧૧૮૯૧ હેકટરમાં વાવેતર થયેલ છે. હાલમાં વરસાદની પરીસ્થિતિ જોતાં, છોટાઉદેપુર જીલ્લામાં કુલ સરેરાશ વરસાદ ૧૦૬૬ મી.મી. ની સામે કુલ ૬૯૮ મી.મી એટલે કે ૬૫.૪૭ ટકા જેટલો વરસાદ નોંધાયેલ છે. જેમાં ઓગષ્ટ માસ દરમ્યાન સરેરાશ ૪૨.૬૬ મી.મી વરસાદ નોંધાયેલ છે એટલે વરસાદ ખેંચવાના કારણસર ખેતી પાકોમાં ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે તથા વરસાદની અનિયમિતતા સામે વરસાદના પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે આકસ્મિક પાક આયોજન અમલમાં મુકવા ખેડુતોને સલાહ છે.
જે ખેડુતો પાસે પિયતની સુવિધા ઉપલબ્ધ હોય તેવા ખેડુતોએ સંબંધિત પાકની ક્ટોક્ટી અવસ્થા એટલે કે વિકાસ અવસ્થા / કુલ અવસ્થા / દાણા ભરાવાની અવસ્થાએ પિયત ક્યારા પધ્ધતિએ ના આપતાં આંતરપટે એટલે કે એકાંતર ચાસે પિયત આપવું, આનાથી લગભગ ૩૫ ટકા પિયત પાણી બચાવી શકાય તથા જે ખેડુતો પાસે ડ્રિપ પિયત પધ્ધતી ઉપલબ્ધ હોય તો તેનો ખાસ ઉપયોગ કરવો. કેશાકર્ષણથી જમીનમાં રહેલ ભેજ ઉડી ન જાય તે માટે લાંબા ગાળે વવાતા પાકો તથા હારબંધ વવાતા પાકોમાં ફરજીયાત પણે આંતરખેડ કરવા ભલામણ કરવામાં આવે છે. વધુમાં, જે પાકોમાં નિંદામણનો પ્રશ્ન હોય તે તમામ પાકોમાં સમયસર નિંદામણ કરી, નિંદામણમુકત રાખવા વિનંતી છે, જેથી નિંદામણ દ્વારા ભેજ ને દૂર થતો અટકાવી શકાય. જો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધુ હોય તો અમુક અંતરે છટણી કરી છોડની સંખ્યા ઘટાડી પણ ભેજ સંગ્રહ કરી શકાય છે તથા તડકાથી વધારાને ભેજ ઉડતો બચાવવા માટે નિંદામણના અવશેષો / ખેતીનો કચરો વિવિધ પાકોની બિન ઉપયોગી ફોતરી પાકની બે હાર વચ્ચે પાથરી મલ્ચીંગ કરવા તેમજ હાલની પરિસ્થિતિએ રાસાયણીક ખાતર ન આપવા તથા શકય હોય અને જરૂરી હોય તો નેનો યુરીયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા સ્પ્રે કરી આપવા ભલામણ કરવામાં આવે છે. આ તબક્કે ખાસ કરીને કપાસ જેવા પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળેલ છે આથી પાક ઉત્પાદન પર અસર ન થાય તે માટે સાંજના સમયે ભલામણ મુજબની કોઇ પણ પ્રવાહી રાસાયણીક દવા / લીંબોળીના તેલનો સ્પ્રે કરી જીવાતનું નિયંત્રણ કરવા ખાસ આગ્રહ છે.
હાલમાં, ગુજરાત સરકારશ્રી દ્વારા નેનો યુરીયા / નેનો ડીએપી / બાયો પેસ્ટીસાઇડ પર કુલ કિંમતના ૫૦ ટકા અથવા રૂ ૫૦૦/ હેકટરની મર્યાદામાં સહાય ઉપલબ્ધ છે જેના માટે આપના ગામના ગ્રામ સેવકશ્રી નો સંપર્ક કરવો.

આમ, વરસાદ ખેંચાવાના કારણસર ખેતી પાકોને બચાવી, ઉત્પાદન પર કોઇ માટી અસર ન પહોંચે તે માટે ઉપરોકત જણાવ્યા મુજબ જરૂરી પગલાં લેવા તમામ ખેડુત મિત્રોને ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે તથા રોગ – જીવાત કે અન્ય કોઇ પ્રશ્ન હોય તો આપના ગામના ગ્રામસેવકશ્રી/તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) તથા પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામકશ્રી (વિ) નો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here