વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૦૮ રેલ્વે સ્ટેશન પૈકી પંચમહાલ જિલ્લામાં ડેરોલ રેલ્વે સ્ટેશનનો ઈ-શિલાન્યાસ કરાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ અને ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાલોલ ખાતે કાર્યક્રમ યોજાયો

રૂ.૨૭ કરોડના ખર્ચે ડેરોલ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરાશે:-ઓવર બ્રિજ,પાર્કિંગ,વેઇટિંગ રૂમ સહિતની સુવિધાઓ ઉભી કરાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજરોજ દેશના ૫૦૮ રેલ્વે સ્ટેશનના પુન:વિકાસ માટે ઈ-શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વડોદરા મંડળ હેઠળ કુલ ૬ રેલ્વે સ્ટેશન પૈકી પ્રતાપનગર,ડભોઇ, ડેરોલ,મિયાગામ-કરજણ,ભરૂચ અને વિશ્વામિત્રીનો ઈ- શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.પંચમહાલ જિલ્લાના ડેરોલ રેલ્વે સ્ટેશન ખાતે જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ અને કાલોલ ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
ડેરોલ ખાતે આજરોજ યોજાયેલ કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને દેશ ભક્તિના ગીત તથા મહેમાનોના સ્વાગત થકી કરાઈ હતી.આ સાથે મહાનુભાવોના હસ્તે ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં વિજેતા શાળાના વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,ગયા વર્ષે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગોધરા રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરાયો હતો આજે જીલ્લાના ડેરોલ રેલ્વે સ્ટેશનના ઈ-શિલાન્યાસ થકી નવીનીકરણનું કામ શરૂ કરાશે જે અંતર્ગત મુસાફરોને ધ્યાને લઈને તમામ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.કેન્દ્ર સરકાર રેલ્વેનું સતત આધુનિકીકરણ કરીને ભૌતિક સુવિધાઓ સાથે વિકાસને આગળ ધપાવી રહી છે.
આ તકે કાલોલ ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણે કહ્યું કે,દેશના વડાપ્રધાનશ્રીની આગેવાની હેઠળ દેશમાં નવભારત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહ્યું છે.રેલવેના બ્યુટીફિકેશન થકી દેશની દશા અને દિશા બદલાઈ છે.દેશમાં સ્વચ્છતા અભિયાન થકી લોકોમાં જાગૃતિ આવી છે.
આ પ્રસંગે રેલ્વેના ડિવિઝનલ ફાયનાન્સ મેનેજર સુશ્રી નૂપુર ચૌધરી દ્વારા ડેરોલ રેલ્વે સ્ટેશનના નવીનીકરણ બાબતે માહિતી આપતા જણાવ્યું કે,રૂ.૨૭ કરોડના ખર્ચે ડેરોલ રેલ્વે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે જેમાં બંને સાઇડથી જોડતો ૧૨ મીટર પહોળો ઓવર બ્રિજ,સ્ટેશનના બીજા ગેટનું નિર્માણ,પાર્કિંગ,વેઇટિંગ રૂમ,વોશરૂમ,નવીન ટિકિટ બારી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.રેલ્વે સ્ટેશન ખાતે ઓવર બ્રિજ બનવાથી સ્ટેશનના બંને છેડે આવન જાવન માટેની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.
આજના આ પ્રસંગે રેલ્વેના મુખ્ય પ્રોજેક્ટ મેનેજરશ્રી મુકેશ કુમાર,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ,શ્રી યોગેશ પંડ્યા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ,શ્રી જયદેવ ઠાકોર, પૂર્વ પ્રમુખશ્રી રાજપાલસિંહ,સરપંચશ્રી ઉષાબેન સુથાર સહિત રેલ્વેના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here