વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સરદાર પટેલની જન્મ જયંતી – એકતા દિવસ એ ફક્ત તારીખ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનું મહાપર્વ છે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન ઉવાચ એકતા ક્યારેય વિવશતા નથી રહી, એ સદા સર્વથા આપણી વિશેષતા બની છે

એકતા ની ભાવના પ્રત્યેક ભારતીયના અંતર મનમાં રચાયેલી છે

સરદાર પટેલે દેશની એકતાને મજબૂત કરવા માટે આપણને સોપેલું દાયિત્વ આપણે બખૂબી નિભાવવા વડાપ્રધાન નું આહવાન

દેશમાં ભાષા – ભોજન ભલે અલગ હોય, પરંતુ તમામ લોકો સુધી નીતિ – યોજનાને પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય થઈ રહ્યું છે

દેશની એકતા – એકજૂટતા આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે

આઝાદી બાદ દેશની એકતા – અખંડિતતામાં સહભાગી બનેલા રજવાડાઓની ત્યાગ ભાવના – કર્તવ્ય ભાવનાને ઉજાગર કરતા મ્યુઝિયમનું એક્તાનગર ખાતે નિર્માણ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે આજે એકતાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલી હતી.

આ પ્રસંગે તેમને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૨૦૨૨ ના વર્ષનો આ એકતા દિવસ એ આપણા માટે વિશેષ દિવસ છે, આ વર્ષમાં આપણે આપણી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે, તે માટે આજના દિનનું આપણા માટે વિશેષ મહત્વ રહ્યુ છે.
સરદાર પટેલની જન્મ જયંતી – એકતા દિવસ એ આપણાં માટે ફક્ત તારીખ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનું મહાપર્વ છે.

વડાપ્રધાન મોદીએ જો આપણી સ્વતંત્રતાની લડાઈ સરદાર પટેલ જેવા નેતાઓના નેતૃત્વમાં ન લડાઈ હોત તો પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે, જો ૫૫૦ થી વધુ રજવાડાઓનું વિલિનીકરણ ન થયું હોત તો શું થાત ? એ કલ્પના કરવી જ મુશ્કેલ છે. સરદાર પટેલે આ અશક્ય લાગતુ કાર્યને પૂર્ણ કરી સમગ્ર ભારતને એકતાંતણે જોડ્યું હતું.

એકતાની શક્તિ એ ક્યારેય આપણાં માટે વિવશતા નથી રહી, પરંતુ એ સદા સર્વથા આપણી ભારતીયોની વિશેષતા બની રહી છે. એકતાની ભાવના એ પ્રત્યેક ભારતીયોના અંતર મનમાં રચાયેલી રહી છે. દેશ ઉપર જ્યારે પણ કોઈ આપદા આવી છે, તેવા સમયે દેશ એકજૂટ બની સેવા – સહયોગની સંવેદના સાથે ઉભો રહ્યો છે.

પ્રધાનમંત્રી એ જણાવ્યું હતું કે, ભારતની એકતા દુશ્મનોને ખટકે છે. ગુલામીના કાલખંડમાં પણ આ એકતા દુશ્મનોને ચૂભતી હતી, તેથી જ બહારના લોકોએ ભારતને તોડવા માટે અનેક પ્રયાસો કર્યા, તેની સામે આપણે આપણી એકતાના અમૃતના કારણે તેનો મક્કમતાથી સામનો કરી શક્યા હતા.

આજે પણ આપણે તોડનારી, વિભાજન કરવાવાળી તાકાતની સામે જાગૃત બનવું પડશે, તેમ જણાવી વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, દેશને કમજોર કરવાવાળી તાકાત એ ગુલામીની માનસિકતા, વ્યક્તિગત સ્વાર્થ અને ભ્રષ્ટાચારના રૂપમાં આપણી સામે આવે છે, તેની સામે આપણે ભારત માતાના સંતાનો તરીકે એકજૂટ બની જવાબ આપીને સરદાર પટેલે દેશની એકતાને મજબૂત કરવા માટે આપણને સોપેલું દાયિત્વ આપણે બખૂબી નિભાવવું પડશે.

વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની પ્રત્યેક લોકોના વિકાસ માટેની સર્વ વિકાસની વિભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશમાં ભાષા – ભોજન ભલે અલગ હોય, પરંતુ આજે તમામ લોકો સુધી સરકારની નીતિ – યોજનાને પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય થઈ રહ્યું છે. દસકાઓ સુધી ઉપેક્ષિત પ્રત્યેક સમાજને પ્રાધાન્ય આપી તેને વિકાસની તરાહમાં જોડયા છે. સરકારની યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે એક મિશનના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે. આ મિશન એ દેશના સંવિધાનમાં સામાન્ય માનવીના વિશ્વાસનું માધ્યમ બની રહ્યું છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની તાકાત એ તેની એકતામાં રહેલી છે. દેશની એકતા એકજૂટતા એ આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે. કેવડીયા ખાતે લોકોની એકતાથી વિકસિત બનેલું એકતાનગર એ આજે ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે. આ એકતાનગર ખાતે રચાયેલ એકતા મોલ, એકતા નર્સરી, એકતા ફેરી, એકતા રેલ્વે સ્ટેશન સહિતના અનેક સ્થાનકો રાષ્ટ્રીય એકતા માટે આપણને પ્રેરિત કરી રહ્યા છે.

તેમણે એકતાનગર ખાતે નિર્માણ પામેલ મિયાવાકી વન, મેઝ ગાર્ડનના નવીન આકર્ષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ એકતાનગર એ પર્યાવરણ સુરક્ષા, પશુ – પક્ષી સુરક્ષા, સોલાર એનર્જી જેવા વિભિન્ન ક્ષેત્રોમાં આજે મોડેલ બની ઉભરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી બાદ ભારત વર્ષની એકતામાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા અને તેમાં તેમને મળેલ રજવાડાઓના સહયોગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ભારતની એકતા અને અખંડિતતામાં એ સમયના રાજા – રજવાડાઓએ તેમના અધિકારોનો કર્તવ્ય ભાવના સાથે ત્યાગ કર્યો હતો, તેના કારણે ભારતની અખંડિતતાનું સ્વપ્ન સાકાર બન્યું છે. જેને ધ્યાને લઇ રાજ પરિવારોની આ ત્યાગભાવના – કર્તવ્ય ભાવનાને ઉજાગર કરતા મ્યુઝિયમનું એકતાનગર ખાતે નિર્માણ કરવાનું કાર્ય હાથ ધરાયું છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરરે ભાગ લીધો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાયા હતા.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલી આ એકતા પરેડના કાર્યક્રમમાં પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા, કેન્દ્ર અને રાજ્ય સરકારના સચિવશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવટીયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, રાજ્ય સરકારના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારી ઓ તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here