રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ
સાધુઓ ની સાથે કાર ના ડ્રાઇવર તરીકે આવેલા ઇસમે સાધુઓ ને ચકમો આપી રોકડ સહિત માલસામાન ની ચોરી કરી ફરાર થયો હતો
રાજપીપળા પોલીસ મથકમાં 2015 મા ચોરીના ગુનામાં ફરિયાદ નોધાઇ નાસતા ફરતો આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો
નર્મદા જીલ્લા પોલીસને વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ તરફથી વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સુચના આપવામાં આવી હોય પોલીસ તંત્ર સાબદુ બન્યુ છે. પોતાના બાતમીદારોને કામે લગાડી તેમજ આરોપીના રહેણાંક વિસ્તારમા તપાસ આદરી આરોપીઓને ઝબ્બે કરવામા આવી રહ્યા છે.
નર્મદા જીલ્લા LCB પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલ સહિત સબ ઇન્સ્પેક્ટર સી એમ ગામીત સહિતના સ્ટાફે જીલ્લામા ગુનાહિત પ્રવૃત્તિ કરી નાસતા ફરતા હોય તેવા આરોપીઓને ઝડપવાની દિશામાં કામગીરી હાથ ધરી હોય વર્ષ 2015 માં રાજપીપળા પોલીસ મથકમાં નોધાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના રોકડ સહિત માલસામાનની ચોરી કરનારા ચોરને ઝડપી પાડયો હતો.
બનાવની વાત કરીએ તો 2015 મા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે સુકદેવ પ્રભુરામ પુરોહિત મુળ રહેવાસી સીલુ તા.સાચોર જી. ઝાલોર રાજસ્થાનનો હાલ રહેવાસી ચાંદખેડા અમદાવાદ નાઓનો સાધુઓ સાથે તેમના ડ્રાઇવર તરીકે કાર ચલાવી રાજપીપળા પાસેના પોઇચા સ્વામિનારાયણ મંદિરમા આવેલ હતો જયાં તેને તક મળતાં તેણે સાધુઓના રોકડ રકમ સહિતના સામાનની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો.
પોતાના માલસામાનની ચોરી થયાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં સાધુઓએ નોંધાવી હતી, જેને વર્ષો વિત્યા પરંતુ નર્મદા જીલ્લા LCB પોલીસે આ આરોપી અમદાવાદમા હોવાનું ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળતાં તેને અમદાવાદ ખાતે પહોચી એ.એસ.આઇ. ભંગાભાઇ ગોવિંદભાઇ, ભરતભાઈ સુરાભાઇ અને પરસોતમ મગનભાઈ નાઓની ટીમે ઝડપી પાડયો હતો અને જેલના સળિયા પાછળ ધકેલયો હતો.
અમદાવાદ ખાતેપથી પોલીસે ઝડપેલા આ આરોપીએ મહારાષ્ટ્ર મુંબઈના મલાડ ખાતે રસોઇયા તરીકેની નોકરી કરી જેના ઘરે નોકરી કરતો તેના ઘરમા પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.