રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
મહિલાને હાથ થી ગળુ દબાવી મણકાની માળા તથા કાળા દોરા વડે ટુપો આપી હત્યા કરાઇ હતી
નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા પાસે આવેલા અણીજરા ગામ ખાતે બાજરીના વેચાણના રૂપિયા મામલે ઝઘડો અને તકરાર થતા અનુસૂચિત જનજાતિ ની મહિલાને મોતને ઘાટ ઉતારનાર નરાધમ ને રાજપીપળા ના એડિશનલ સેશન જજ એને સિદ્ધિકી ની અદાલતે કસુરવાર ઠેરવી વિદ્વાન સરકારી વકીલ કુમારી વંદનાબેન આઈ ભટ્ટની દલીલોને ગ્રાહ્ય રાખી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
હત્યા ના આ કેસની વાત કરીએ તો તારીખ 29/ 9 /2021 ના રોજ રાત્રિના સમયે અણીજરા ગામ ખાતે રહેતી જેતુબેન ચંદુભાઈ વસાવા અને આરોપી લક્ષ્મણભાઈ ઉર્ફે મોચિયો સુરેશભાઈ પાટણવાડીયા વચ્ચે બાજરી વેચાણના રૂપિયા બાબતે ઝઘડો અને તકરાર થયું હતું જેથી આરોપી લક્ષ્મણ ઉર્ફે મોચીયો સુરેશ પાટણવાડીયા એ જેતુબેન ચંદુભાઈ વસાવા નો કાસળ કાઢવાનું મન બનાવી રાત્રિના સમયે જેતુબેન ચંદુભાઈ વસાવા નો હાથથી ગળુ દબાવી તેમજ મણકાની માળા તથા દોરા વડે મરણ જનાર મહિલાને ટુંપા આપી મહિલાની હત્યા કરી હતી.
હત્યા ના આ બનાવની જાણ અને ફરિયાદ રાજપીપળા પોલીસ મથક મા થતા મરણ જનાર મહિલા અનુસૂચિત જનજાતિની હોય ને નર્મદા જિલ્લા એટ્રોસિટી વિભાગના ડીવાયએસપી એસ.જી. મોદી એ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી હતી અને હત્યાના ગુનાસર આરોપી લક્ષ્મણ ઉર્ફે મોચિયો સુરેશભાઈ પાટણવાડીયા સામે ઇપીકો કલમ 302 એટ્રોસિટી એક્ટની કલમ 3 (2)( 5) મુજબની કાર્યવાહી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કેસ આજરોજ નર્મદા જિલ્લાના એડિશનલ સેશન જજ એન. એસ . સિદ્ધિકી ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કુમારી વંદનાબેન આઈ ભટ્ટના ઓએ સાક્ષીઓ ,સાયન્ટિફિક પુરાવો, તથા દસ્તાવેજી પુરાવાઓ, તેમજ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરતા અદાલતે પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.