કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
પુષ્ટિ સંપ્રદાયના આદ્યસ્થાપક જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજીના 546માં પ્રાદુર્ભાવ મહોત્સવ તેમજ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના પ્રાગટ્ય મહોત્સવની કાલોલ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
મહોત્સવ ઉજવણી અનુસંધાને આજે સવારથી જ કાલોલ નગર પુષ્ટિમય બન્યું હતું. વહેલી સવારે પ્રભાતફેરી સાથે શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે શ્રી પ્રભુના નિયમિત દર્શનો ઉપરાંત પલના નંદ મહોત્સવ, રાજભોગમાં તિલક આરતી સમેતના વિવિધ મનોરથ દર્શનોથી સમસ્ત વૈષ્ણવ સમાજ ભાવ વિભોર બન્યો હતો.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીના પ્રાર્દુભાવ મહોત્સવ અંતર્ગત સમસ્ત વૈષ્ણવ સમાજે પણ સ્વગૃહે બિરાજમાન શ્રી ઠાકોરજીના સેવ્ય સ્વરૂપોને વિવિધ મનોરથો થકી લાડ લડવ્યા હતા. મોડી સાંજે આયોજિત કળશ યાત્રામાં કાલોલ વૈષ્ણવ સમાજે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કળશ યાત્રાના વધામણાં બાદ શ્રી દશા મોઢ વણિક અને શ્રી દશાલાડ વાડી ખાતે વૈષ્ણવોના મનોરથ સ્વરૂપે આયોજિત મહાપ્રસાદનો લાભ સમસ્ત વૈષ્ણવ સમાજે લીધો હતો.
ઉજવણી ઉપલક્ષમાં મહોત્સવની પૂર્વ સંધ્યાથીજ શ્રી ગોવર્ધનનાથજી હવેલીને રંગ બે રંગી રોશનીથી ઝળહળતી કરવામાં આવી હતી.