ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં જિલ્લા રોજગાર સલાહકાર સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ ગત બેઠકમાં આપેલ સૂચનાઓ અંતર્ગત લેવાયેલ પગલાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કોરોના સંક્રમણ દરમિયાન રોજગાર કચેરી દ્વારા રોજગાર-ભરતી મેળાઓ, માર્ગદર્શન શિબિરનું આયોજન શક્ય નથી ત્યારે વૈક્લ્પિકરૂપે કરાયેલ ૨૭ વેબિનારોના પગલે ૨૪૯૭ લાભાર્થી યુવાનોને લાભ મળ્યાની વિગતો અંગે પૃચ્છા કરતા રોજગારી મળી હોવા છતા જોઈન ન કરવા પાછળ જવાબદાર કારણો શોધી તેનું પૃથક્કરણ કરી રજૂ કરવા અને તે અનુસાર વ્યૂહરચના ઘડવા સૂચના-માર્ગદર્શન આપ્યા હતા. આ ઉપરાંત, સ્વરોજગાર શિબિરો, કેરિયર કોર્નર અંતર્ગત થઈ રહેલી પ્રવૃતિઓ, કાઉન્સેલિંગ સેમિનાર અંતર્ગત થઈ રહેલી પ્રવૃતિઓની સમીક્ષા કરી હતી. વિવિધ વિભાગો અંતર્ગત રોજગારીના ઉદ્દેશ્ય સાથે ચાલી રહેલી માનવ ગરિમા, માનવ કલ્યાણ, સાધન સહાય યોજના સહિતની યોજનાઓમાં થઈ રહેલી કામગીરી, લાભાર્થીઓની સંખ્યા સહિતની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, ભરતી મેળાઓ સહિતની પ્રવૃતિઓમાં લાભ મેળવતા દિવ્યાંગ ઉમેદવારો અને એસ.ટી. વર્ગના ઉમેદવારોનું યોગ્ય પ્રમાણ જળવાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે મોડેલ કેરિયર સેન્ટર કાર્યરત કરવા અંગેનું આયોજનની વિગત જાણી જરૂરી નિર્દેશ આપ્યા હતા.
બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. રાઠોડ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી ચૌહાણ, જિલ્લા રોજગાર અધિકારી (વ્યવસાયિક)શ્રી પરમાર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પંચાલ, જિલ્લા સમાજસુરક્ષા અધિકારી સહિતના અધિકારીઓ, જિલ્લાના વેપારી-ઉદ્યોગ સંગઠનના પ્રતિનીધીઓ, સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.