ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી સુજલ મયાત્રા (આઈ.એ.એસ.) એ આજે જિલ્લાના 53મા કલેક્ટર તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. શ્રી સુજલ મયાત્રા વર્ષ 2011ની બેચના આઈ.એ.એસ. અધિકારી છે. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. કોરોના સંક્રમણના નવા વેવની સંભાવના સામે પૂર્વ તૈયારીઓ ઉપરાંત જે બાબતોમાં જિલ્લો હજી પાછળ છે તે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસયાત્રાને આગળ ધપાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. પંચમહાલ જિલ્લા સમાહર્તા પદે નિયુક્તિ પહેલા તેઓશ્રી કચ્છ અને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર તરીકે તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.