નાગાલેન્ડના રાજ્યપાલ લા.ગણેશનએ કેવડિયા- એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં કરેલી ભાવ વંદના

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવી સરદાર સાહેબના જીવન કવન અને ઐતિહાસિક ઘટનાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી મોદીના વિઝનની ભારોભાર પ્રશંસા કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થતું નજરે નિહાળ્યું

વિઝીટ બુકમાં અભિપ્રાય ટાંકતા અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના કાર્યોને બિરદાવ્યા : ભાવિ પેઢી તેમાંથી પ્રેરણા લે તે માટે શૈક્ષણિક ટૂર ગોઠવાય તેવી હિમાયત પણ કરી

ગુજરાત રાજ્યના સ્ટેટ ગેસ્ટ બનેલા નાગાલેન્ડ રાજ્યના મહામહિમ રાજ્યપાલ લા.ગણેશન દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. આજે તારીખ ૨૫/૦૪/૨૦૨૩ના રોજ વડોદરાથી કેવડિયા એકતાનગર ખાતે બાયરોડ આવી પહોંચતા કેવડિયા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે પ્રોટોકોલ અધિકારી એન.એફ.વસાવા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ લા. ગણેશન સર્કિટ હાઉસથી કોન્વોય દ્વારા સીધા જ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમાને વંદન કરી સરદાર સાહેબની મૂર્તિના દર્શન કર્યા હતા. યાદગીરી રૂપે તસવીરો પણ લીધી હતી. સાથે સાથે માં નર્મદાના દર્શન, સાતપૂડા અને વિંધ્યાચળ ગિરીમાળાના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો નિહાળી ભાવવિભોર બન્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાસ ગાઈડ દ્વારા અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં ઐતિહાસિક ઘટના અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યોની માહિતીથી મહામહિમશ્રી રાજ્યપાલને અવગત કર્યા હતા. ભારતમાં તાજમહેલ અને સરદાર સાહેબની મૂર્તિ એ એક અજાયબી છે તેમ જણાવ્યું હતું અને લાખોની સંખ્યામાં અહીં દેશ વિદેશના પ્રવાસીઓ કેવડિયા ખાતે મુલાકાત લે છે. તેઓ તેને યાદગાર ક્ષણો માને છે. વિશાળ પ્રતિમાને જોઈને લોકો અચંબામાં પડી જાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનું આ એક અદભુત સ્થળ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના અહીં દર્શન થાય છે. વિવિધતામાં એકતાના દર્શન અહીં જોવા મળે છે. પૂજ્ય સરદાર સાહેબની ફોટો ગેલેરી, પ્રદર્શન કક્ષ, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા ઐતિહાસિક ઘટનાઓનું આબેહૂબ વર્ણન અને દેશની એકતા અખંડિતતામાં આપેલું યોગદાન પ્રસ્તુત કરવામાં આવે છે. એટલું જ નહીં વ્યૂઈંગ ગેલેરી દ્વારા સરદાર સરોવર ડેમના દર્શન અને નર્મદા મૈયાના દર્શન, પ્રાકૃતિક નજારો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની જાય છે. રાજ્યપાલ એ પણ આ પ્રત્યેક બાબતોને બારીકાઈથી નજરે નિહાળી ખૂબ પ્રશંસા કરી હતી. સ્ટેચ્યૂ નિર્માણ અને દ્રષ્ટિવંત વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખૂબજ પ્રશંસા કરી હતી. સાથે માન. રાજ્યપાલએ કામરુન (આફ્રિકા)ના પ્રવાસીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. વિદેશી પ્રવાસીઓએ માન. રાજ્યપાલ સાથે યાદગાર તસવીરો પણ ખેંચાવી હતી. તમિલનાડુના કેટલાક પ્રવાસીઓ સરદાર સાહેબની ગેલેરીમાં અચાનક તમિલનાડુનાં પ્રવાસીઓ ઓળખાઈ જતાં મલકના માનવી મળ્યા ત્યારે હરખની ખુશી બેવડાઈ ગઈ હતી અને તેમની સાથે પણ તસવીરી ઝલક લીધી હતી અને પ્રવાસીઓ પણ પોતાના કેમેરામાં તસવીરો ખેંચાવી પ્રવાસને યાદગાર બનાવ્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળી બહાર આવ્યા પછી માન. રાજ્યપાલએ સરદાર સાહેબના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી. વિઝીટ બુકમાં અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના કાર્યોને બિરદાવ્યા હતા અને ભાવિ પેઢી તેમાંથી પ્રેરણા લે તેના માટે શૈક્ષણિક ટૂર ગોઠવીને વધુ લોકોને અવગત કરાવે, પ્રવાસીઓ તેમજ દેશના લોકો સરદાર સાહેબના એકતા અખંડિતતાના સંદેશાને જીવનમાં ઉતારે અને તેમાંથી પ્રેરણા લે તે જોવા હિમાયત કરી હતી. છેલ્લે એક ભારત શ્રેષ્ઠ ભારતની નિશાની દર્શાવતી વૉલ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમની સાથે તેમના ભાઈ એલ. ગોપાલન અને સત્યનારાયણ દવે સહભાગી થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા માન. રાજ્યપાલ લા. ગણેશનને નાયબ કલેક્ટર(એસઓયુ) મયુર શુક્લા દ્વારા સરદાર સાહેબની પ્રતિમા તથા રાજપીપલાના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણીએ કોફી ટેબલ બુક ભેટ આપી હતી જેને માન. રાજ્યપાલએ સહર્ષ સ્વીકાર કરી ધન્યતાનો ભાવ પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here