નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવા ગોધરા ખાતે “અવસર રથ”ને ફ્લેગ ઓફ આપતા અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોધરા, શહેરા, મોરવા હડફ,કાલોલ અને હાલોલ તાલુકાના ૫૫ બુથો પર ભ્રમણ કરીને અવસર રથ સમજાવશે લોકશાહીમાં મતદાનનું મહત્વ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય તેવા હેતુસર ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું તેવા ૨૦૨૨ મતદાન મથકોને ધ્યાનમાં લઈને આ વિસ્તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તા. ૩ નવેમ્બર થી ૧૭ નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

જે અંતર્ગત ગોધરા કલેકટર કચેરી ખાતેથી સ્વીપ પ્રવૃત્તિ હેઠળ અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા “અવસર રથ”ને ફ્લેગ ઓફ આપીને મતદાર જાગૃતિ અંગે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, નાગરિકો આ લોકશાહીના પર્વમાં જોડાઈને ઉત્સાહભેર મતદાન કરે તેવા આશય સાથે અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગોધરા ખાતેથી પ્રસ્થાન થયેલ અવસર રથ ગોધરા ઉપરાંત શહેરા, મોરવા હડફ,કાલોલ અને હાલોલ તાલુકાના ૫૫ બુથો પર પરિભ્રમણ કરીને મતદાન અંગેની જાગૃતિ ફેલાવશે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતી નેહા ગુપ્તા સહિત વિવિધ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here