નર્મદા : રાજપીપળા કોવીડ હોસ્પિટલ ખાતેથી 3 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી જતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસનો માત્ર એક જ દર્દી સારવાર હેઠળ

મયાસીના 10 વર્ષીય બાળકના સંપર્કમા આવી કોરોનાની મહામારીમા સપડાયેલા 3 ના રિપોર્ટ નેગેટિવ આવતા દવાખાનામાંથી રજા અપાઈ

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણ બાદ રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં રાજપીપળાના આમલેથા પાસેના મયાસી ગામના ત્રણ ઇસમોને તેમના રિપોર્ટ નેગેટિવ આવતા આજરોજ દવાખાનામાંથી રજા અપાઈ હતી. ત્યારે સાજા થઇને પોતાના ઘરે જઇ રહેલાં આ દર્દીઓને મેડીકલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-19 પોઝિટીવ કેસો પૈકી આજરોજ 3 દર્દી સાજા થતાં અત્યાર સુધી કુલ-18 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ નર્મદા જિલ્લામાં માત્ર એક જ એક્ટીવ પેશન્ટ રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. સરકારશ્રીની નવી ગાઇડલાઇન મુજબ ૧૦ દિવસમાં પેશન્ટને કોઇ તકલીફ ન હોઇ કે ટેસ્ટ કરવાની જરૂર ન જણાય તો રજા આપી શકાય છે તેથી આ ત્રણેય દર્દીઓને રજા અપાઇ છે જે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

મયાસીના દર્દી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતુ કે અમારા પરિવારમા એકસાથે ત્રણના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા અમો બધા ગભરાઈ ગયેલા પરંતુ કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી, માત્ર સાવચેતી જરૂરી છે. ઘરમાં જ રહેવા અને કામ સિવાય બહાર ન નિકળવું જોઇએ તેમજ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવું જોઇએ અને વારંવાર હાથ ધોવા જોઇએ. અંહી અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી પડી તેમજ ડૉક્ટર અને સ્ટાફનો સહકાર અમને સતત મળતો રહેતો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here