રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
પરિક્રમાવાસીઓ સરળતાથી નર્મદા નદી પાર કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરાઈ
નર્મદા જિલ્લામાં આગામી તા. ૮ મી એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસથી એક મહિના સુધી માં નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. જુદા જુદા વિસ્તારોમાંથી આવતા તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાભાવ સાથે નદીમાં સ્નાન કરી પરિક્રમા પૂર્ણ કરી શકે તેવા ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની આગેવાનીમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે રસ્તા મરામત કામ આરંભ દેવામાં આવ્યું છે.
પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી નર્મદા નદી પાર કરી શકે તે માટે તિલકવાડાથી પરિક્રમા પથ ઉપર પસાર થઈ રામપુરાથી રેંગણ પાસે આવેલા કીડી મંકોડી ઘાટ સુધી સાફ-સફાઈ અને અવર-જવર માટેના રસ્તાની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્રના દ્વારા ચાલુ કરી દેવામા આવી છે. પરિક્રમાના પ્રારંભ થાય ત્યાં સુધી તમામ વ્યવસ્થા સુનિશ્વિત કરી દેવામાં આવશે..