રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
આયુષ્માન ભારત યોજનાથી લાખો પરિવારોનું આર્થિક ભારણ અને માનસિક ચિંતા દૂર થઈ છે : લાભાર્થી સુભાષભાઈ તડવી
આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પ્રસ્થાપિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને મિશન બનાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિઝનરી નેતૃત્વવાળી રાજ્ય સરકારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી રાજ્ય સહિત નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાય તથા દૂરસુદૂરના અંતરિયાળ વિસ્તારના અંતિમ માનવીના ઘરઆંગણે સુધી વિવિધ યોજનાકીય લાભ પહોંચાડવાનો મહાયજ્ઞ શરૂ કર્યો છે.
ગરીબ પરિવારોના જીવનધોરણમાં ઉન્નતિ લાવવા માટે ગામેગામ ભ્રમણ કરી રહેલી આ સંકલ્પ યાત્રા ગરુડેશ્વર તાલુકાના ઝરીયા ગામે પહોંચતા ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ લાભાર્થીઓએ સરકારી યોજનાઓના લાભથી પોતાના જીવનમાં આવેલા બદલાવ અંગે સફળવાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી. જેમાંની એક મહાત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે.
આયુષ્માન કાર્ડના લાભાર્થી સુભાષભાઈ તડવી જણાવ્યુ હતુ કે, હું સરકારની મોટાભાગની યોજનાઓથી વાકેફ છું. જેમાંથી આયુષ્માન ભારત યોજના મારા માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. મેં અન્ય ગ્રામજનોને પણ આ યોજનાનો લાભ લેવા જાગૃત કર્યા છે. સરકારની આ યોજના થકી સમાજનો પ્રત્યેક વર્ગ મોંઘામાં મોંઘી શ્રેષ્ઠ સારવાર વિનામૂલ્યે કરાવી શકે છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા પ્રદાન કરતી સરકારની આયુષ્માન કાર્ડ યોજનાના કારણે લાખો લોકોનું આર્થિક ભારણ અને માનસિક ચિંતા દૂર થઈ છે. જે બદલ લાભાર્થી સુભાષ તડવી એ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આયુષ્માન ભારત યોજના થકી ગરીબ પરિવારોએ અનુભવ્યો હાશકારો
નર્મદા જિલ્લામાં કુલ ૩.૬૦ લાખથી વધુ આયુષ્માન કાર્ડ ધારક છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૪૬૨૩ લાભાર્થીઓને ૯.૫૦ કરોડની શ્રેષ્ઠ અને નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ થઈ છે. હવે આયુષ્માન કાર્ડના લાભ મર્યાદામાં વધુ પાંચ લાખનો વધારો થતા કુલ ૧૦ લાખ સુધીની મફત સારવાર મળશે. જે ગરીબ અને મધ્યમવર્ગીય પરીવાર હાંશકારા સમાન છે