રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને વેકસીન લેવા માટે આગળ આવવાં અને વેક્સીન લીધા બાદ બીજાને પણ વેકસીન લેવા પ્રોત્સાહન પુરુ પાડવા જિલ્લા આરોગ્યતંત્રનો જાહેર અનુરોધ
જિલ્લામાં નાંદોદ તાલુકામાં ૧૮ થી ૪૪ ની વયજુથના યુવાનો-નાગરિકો દ્વારા કરાયેલું ઉત્સાહભેર વેકસીન: જિલ્લામાં આજદિન સુધી ૧૮ થી ૪૪ ની વયજુથના ૮૭૪૫ લાભાર્થીઓએ લીધો રસીકરણનો લાભ : અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત
રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં તકલીફ પડતી હોય તેવા લોકો માટે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સબ-સેન્ટર ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લાભાર્થીના મોબાઇલ ફોનમાં રજીસ્ટ્રેશનની કરાયેલી ખાસ વ્યવસ્થા
વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક અમોધ શસ્ત્ર છે. જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ શહેરી અને ગ્રામ્યકક્ષાએ વેક્સીનેશનને વધુ વેગવાન બનાવવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને વેકસીન મળી રહે તે માટે આજે રાજપીપલાની આયુ્ર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગરૂડેશ્વરની સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, જેતપુર, બુજેઠા, ગોપાલીયા, સગાઇ, કોલવાણ અને પાટલામઉ કેન્દ્રો ખાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને કોવિડ-૧૯ વેકસીનની રસી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમાં તા. ૧૧ મી જૂન, ૨૦૨૧ ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધીમાં ૩૬૧ જેટલાં લોકોએ કોરોના વેકસીનેશનનો લાભ લીધો છે. તેની સાથોસાથ આજ દિન સુધી જિલ્લામાં ૧૮ થી ૪૪ ની વયજુથના ૮૭૪૫ લોકોને રસી આપવામાં આવી છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, હાલમાં ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને કોવિડ-૧૯ ની વેકસીન આપવાનની કામગીરી ચાલી રહી છે, જેમાં જિલ્લાની વિવિધ ૧૦ જેટલી સેશનસાઇટ નક્કી કરવામાં આવી છે. તેની સાથોસાથ પાંચેય તાલુકામાં દરેક તાલુકાની મળતી જરૂરિયાત પ્રમાણે વેકસીનેશન સેન્ટર ઉભા કરતા હોઇએ છીએ.જેમાં બધા જ વિસ્તાર આવરી લેવાય તે રીતનું આયોજન કરવામાં આવે છે. ૧૮ થી ૪૪ ની વયજુથના ૧૪ હજારની સામે ૮૭૪૫ લોકોએ વેકસીન લઇ લીધી છે. નર્મદા જિલ્લાએ આજદિન સુધી ૬૨ ટકા જેટલી કામગીરી પૂ્ર્ણ થયેલ છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં નાંદોદ તાલુકામાં ૧૮ થી ૪૪ ની વયજુથના યુવાનો-નાગરિકોએ ઉત્સાહભર્યુ વેકસીન કર્યુ છે. જ્યારે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના યુવાનોમાં પણ વેક્સિન લેવા માટેનો ઉત્સાહ વધે તેવા પ્રયાસો જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા થઇ રહ્યાં છે અને તેમને રજીસ્ટ્રેશન કરવાની કોઇ તકલીફ ન પડે તે માટે વેકસીનેશન સેન્ટર પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.
શ્રી ડૉ. ગામીતે વધુમાં કહ્યું હતું કે, જે લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં તકલીફ પડતી હોય તો તેવા લોકોએ પોતાનો મોબાઇલ લઇને આપના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સબ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર સામે ટકવા વેક્સીન એ જ એક માત્ર ઉપાય છે. વેક્સીનથી ગભરાવવાની કોઇ જ જરૂર નથી. ૧૮ થી ૪૪ ની વયજુથના તમામ લોકોને વેકસીન લેવા માટે આગળ આવવાં અને વેક્સીન લીધા બાદ બીજાને પણ વેકસીન લેવા પ્રોત્સાહન પુરુ પાડવું જોઇએ.