જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર અને નવા નોંધાયેલા મતદારોનું સન્માન કરાયું

લોકશાહીની ભેટ એવાં અમૂલ્ય મતદાનનો અવશ્ય ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખીએ- કલેક્ટરશ્રી સુજલ મયાત્રા

ભારત ચૂંટણી પંચ – નવી દિલ્હી અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી – ગાંધીનગર દ્વારા “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર આજે 12મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુજલ મયાત્રા દ્વારા શ્રેષ્ઠ ERO (મતદાર નોંધણી અધિકારી) તરીકે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અને 127-કાલોલ વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી સુશ્રી અમિતા વી. પારગીને તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે એઈઆરઓ તરીકે શહેરા મામલતદાર શ્રી પી.કે. ડામોર સહિત મતદારયાદીની શ્રેષ્ઠ કામગીરી કરવા માટે અન્ય 13 કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ દિવસ નિમિત્તે યોજાયેલી ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતાને પ્રમાણપત્રનું તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને એપિક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાએ આ પ્રસંગે મતદાર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે બંધારણે નાગરિકોને કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય ઉંમરના આધારે તમામને મતદાનના અધિકારો આપ્યા છે અને વ્યક્તિ ૧૮ વર્ષનો થાય ત્યારે મતદાર યાદીમાં નામ નોંધાવી આ હક પ્રાપ્ત કરી શકે છે. નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આપણને જ્યારે બંધારણે મતદાનનો અમૂલ્ય અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબુત બનાવીએ. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સફળ અને સર્વસમાવેશી લોકતંત્રમાં જાગૃત મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ થકી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અદા કરવા જાગૃત બને તે છે. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે યુવા મતદાર પોતાના મતદાનના હક્ક પ્રત્યે જાગૃત અને પ્રોત્સાહિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમય સાથે મતદારોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. કલેક્ટરશ્રીએ આ પ્રસંગે તમામ લોકોને મતદાન પ્રક્રિયા અંગે જાગૃત થાય તેમજ મતદારયાદીમાં પોતાનું નામ દાખલ થાય તેમજ જાણકાર લોકો પોતાના પરિચિત વ્યક્તિઓને પણ મતદારયાદીમાં પોતાનું નામ દાખલ થાય તે માટે પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવા યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા ત્યાં હોય ત્યાં જઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. આવાં કર્મચારીઓના ખંતને જોઇને અન્ય કર્મચારીઓને પણ પ્રેરણા મળતી હોય છે તેમ જણાવી જાગૃત નાગરિક તરીકે બાકી રહેલાં નાગરિકો પણ પોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરી લે અને જો ન નોંધાયું હોય તો સત્વરે નોંધાવી દે તે માટેની અપીલ પણ તેમણે કરી હતી. કાર્યક્રમમાં સહભાગી થયેલા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલા અમૂલ્ય એવા મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે અને તે ધ્યાને રાખીને યુનિવર્સિટી દ્વારા પણ એન.એસ.એસ.ના માધ્યમથી જાગૃતિ સંબંધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેમના એક જાગૃત-માહિતગાર મતદાર હોવું પણ એટલું જ અગત્યનું છે તેમ જણાવતા આ સંબંધી યુનિવર્સિટી દ્વારા કરાઈ રહેલ પ્રયાસો અંગે માહિતી આપી હતી.
આ ઉપરાંત, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી. ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને સ્વીપ નોડલ અધિકારીશ્રી બી.એસ. પંચાલે એનએસએસ પંચમહાલ જિલ્લા કોઓર્ડિનેટરશ્રી ડો. એન.એચ. પટેલે પ્રાસંગિક સંબોધનો કર્યા હતા. કાર્યક્રમમાં સહભાગી તમામ લોકોએ મતદારોએ લેવાની શપથ લીધી હતી. આ પ્રસંગે લાભાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ તથા સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયાં હતા. આ અવસરે ઉપસ્થિત અધિકારીઓ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલાં કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્યશ્રી સરકારી ઈજનેરી કોલેજ પ્રો. શ્રી એ.કે. પટેલ, પોલિટેકનિક કોલેજના આચાર્યશ્રી જે.વી.ભોલંદા, 30- ગુજરાત બટાલિયન, ગોધરા કર્નલશ્રી કિરીટભાઈ નાયર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા.૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જેની યાદગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here