કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ મુકામે પુષ્ટિમાર્ગીય શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17 મો પાટોત્સવ આગામી તા. 3 જાન્યુ. ને બુધવારના પુષ્ટિભક્તિ માહોલમાં ઉજવાશે.
સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસના 17 માં પાટોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં શોભાયાત્રા, 84 બેઠક ચરીત્રામૃત મહોત્સવ અનવયે કથા રસપાન, નંદ મહોત્સવ, તિલક આરતી, 84 બેઠકજી દર્શનો સહિત સંકૃતિક કાર્યક્રમ અને મહાપ્રસાદના સુચારુ આયોજનો કાલોલ વૈષ્ણવ સમાજ ( KVS) દ્વારા હાથ ધરાયા છે.
વલ્લભકુલ ભૂષણ પૂ.પા.ગો. 108 શ્રી કૂંજેશ કુમારજી મહારાજશ્રીના પ્રેરક સાનિધ્યમાં આયોજીત આ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત આગામી તા. 30ના રોજ પૂ.શ્રીનું સામૈયું અને શોભાયાત્રા સત્સંગ ભવનથી નીકળી પરવડી બજાર અને ગોહયા બજારના માર્ગે રણછોડજી મંદિર થઈ કથા મંડપ પ્રયાગરાજ ચોક પહોંચશે જ્યાં તા. 3 જાન્યુ. સુધી પ્રતિદિન બપોરના 3 થી 6 વાગ્યા સુધી 84 બેઠક ચરિતત્રામૃત મહોત્સવ કથા રસપાન અંતર્ગત પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશ કુમારજી મહારાજશ્રી વિશેષ પ્રવચનો સાથે આગવી શૈલીમાં શ્રી મહાપ્રભુજીની 84 બેઠકોનું માહાત્મ્ય સમજાવશે. આ દરમ્યાન તા. 2 જાન્યુ. ના રોજ સાયંકાળે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તા. 3 જાન્યુ. પાટોત્સવ દિને સવારે 11 વાગે નંદ મહોત્સવ તથા તિલક આરતીના દર્શનનો સાથે કથા વિરામ બાદ સાંજે 5 વાગે દશા મોઢ વણિક જ્ઞાતિ વાડીમાં 84 બેઠકજીની આબેહૂબ પ્રતિકૃતિના દર્શનનો લાભ ઉપસ્થિત વૈષ્ણવજન લેશે. સમગ્ર ઉત્સવ અંતર્ગત દરરોજ સાંજે અલ્પાહાર તેમજ પાટોત્સવના દિવસે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અલૌકિકના લૌકિક સાથેના આ અનેરા સંગમે સમસ્ત વૈષ્ણવ સમાજને પધારવા કાલોલ વૈષ્ણવ સમાજે હાર્દિક આમંત્રણો પાઠવ્યા છે.