કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ શહેરમાં કોરોના સામેના જંગમાં એક તરફ કોરોના લોકોને ભરખી રહ્યો છે તો બીજી તરફ અસરગ્રસ્તો કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરી રહ્યા છે એવો ત્રિકોણીય જંગ જામ્યો છે. જે અંતર્ગત કાલોલ શહેરમાં શનિવારે ત્રણ કોરોના કેસો ઉજાગર થયા પછી મોડી રાત્રે વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આશિયાના સોસાયટીમાં રહેતા હમીમાબીબી ઉમર શેખ (ઉ.વ. ૫૫)ની પાછલા ત્રણ ચાર દિવસથી તાવમાં પટકાતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અંતે ફરક નહીં પડતાં તેમને સામેથી ગોધરા કોરોના હોસ્પિટલમાં કોરોના સેમ્પલ આપતા શનિવારે તેમનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી. જે અંતર્ગત શનિવારે રાત્રે જ કોરોના સારવાર અર્થે ગોધરા સ્થિત કોરોના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે શનિવારે સાંજે જ શહેરની પરષોતમનગર સોસાયટીમાં કોરોના સંક્રમિત થયેલા રાબીયા યુસુફભાઈ જરોદીયા (ઉ.વ ૬૦)ને વડોદરા સ્થિત કોરોના હોસ્પિટલમાં તેમની બન્ને કિડનીઓની ગંભીર બિમારી સાથે એક રાતની કોરોના સારવારને અંતે રવિવારે સવારે કરુણ મોત નીપજ્યું હતું. જેને કારણે કાલોલ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી ત્રીજું મોત નીપજ્યું હતું. જે સાથે શહેરના પરષોતમનગરમાં કોરોના પ્રભાવિત બન્ને લઘુમતી કોમના દર્દીઓના મોતને પગલે લઘુમતિ સમુદાયમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
બીજી તરફ શહેરમાં ગત ૨૪/૦૬ એ કોરોના પ્રભાવિત બનેલા સ્થાનિક ફરસાણના વેપારી ચેતનભાઈ કાછીયાએ ખાનગી હોસ્પિટલમાં પચ્ચીસ દિવસોની સારવારને અંતે કોરોનાને માત આપી રવિવારે સ્વગૃહે પરત ફરતા પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી.
આમ કાલોલમાં રવિવારે એક કોરોના પોઝિટિવ, એક કોરોના મોત અને એક કોરોનાને માત આપવાના કિસ્સા સાથે કાલોલ તાલુકા વિસ્તારમાં વધીને કુલ કેસો વધીને ૩૬ પૈકી કાલોલ શહેરમાં કુલ ૨૪ કેસો સાથે ૩ મોત, ૧૧ કેસો ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા, જ્યારે હાલમાં ૧૦ જેટલા પ્રભાવિત દર્દીઓ કોરોના સારવાર હેઠળ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.