કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
કાલોલના વોર્ડ નંબર ૨ માં આવેલ વેરાઈ માતાના મંદિર પાછળના ભાગમાં જ્યાં નદી તરફ જવાનો રસ્તો છે તે રસ્તા ઉપર ગટર લાઈન ઢાંકણા બેસાડેલા છે જે પૈકીનું એક ઢાંકણ નીકળી જતા નીકળીને બહાર પડેલુ જોવા મળે છે. આ વિસ્તારમાં મોટેભાગે ગ્રામ્ય વિસ્તાર તરફના ઘોડા તરવડા, જેતપુર તરફના લોકોની અવરજવર વધુ જોવા મળે છે અને ગેરકાયદેસર રીતે રેતી, માટી ભરતા ટ્રેકટરોની અવરજવર મુખ્ય રહે છે. આ રસ્તે અવરજવર કરનાર કોઈક રાહદારી દ્વારા ઢાંકણ નીકળી ગયેલ ભાગના ખાડા તરફ એક લાકડાનો મોટો ટૂકડો નાંખી લોકોને સાવચેત કરવાનો પ્રયત્ન કરી સંભવિત અકસ્માતથી બચાવવાનો પ્રયાસ કરેલ છે. આ વિસ્તાર તરફ નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ ન થતી હોવાથી સખત ગંદકીના થર જોવા મળે છે. ત્યારે આ ગટર નું ઢાંકણું બંધ કરવાની કાલોલ નગરપાલિકા તસ્દી લેશે કે પછી કોઈ મોટા અકસ્માત બાદ કાર્યવાહી કરશે તેવો પ્રશ્ન અસ્થાને નથી.