તિલકવાડા(નર્મદા),
વસીમ મેમણ
નર્મદા જિલલ્લાનાં કેવડયા સ્થિત સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે નર્મદા નદીમાં પાણીની સપાટીમાં સતત વધારો નોંધાતા ભયજનક સપાટી ઉપરથી વહેતા તિલકવાડાં તાલુકાના નર્મદા કાંઠે આવેલા વિસ્તારમાં પુરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.
તિલકવાડાં પંથકમાં નર્મદા નદી કિનારાના વિસ્તારમાં આવેલા ખેતરોમાં પૂરના પાણી ભરાતા ખેડૂતોનો ઉભો પાક જેમ કે કપાસ, તુવેર, દિવેલા, કેર વગેરે જેવા પાક પાણીમાં ગળકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા હતા. જેથી ખેડૂતોનો તૈયાર માલ બગડી રહ્યો છે અને ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થવાથી ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને ભારે નુકશાન થવાથી ખેડૂતો પાયમાલ થવાની કગાર પર આવીને ઉભા રહ્યા છે.
બે મહિના પહેલા કોરોના મહામારીના કારણે લોકડાઉન સમયગાળા દરમિયાન પાકના ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આ વર્ષે નર્મદા નદીમાં પુર આવતા તિલકવાડાં તાલુકાના રેંગણ, વાસણ, મરસન, ચુડેશ્વર, નલિયા, મોરા, ટેકરા સહિતના અન્ય કેટલા ગામોના કાંઠા વિસ્તારના ખેતરોમાં પૂરના પાણી ભરાય ગયા હતા જેના કારણે ખેડૂતોના ઉભા પાક બગડી જતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.