ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ન્યુટ્રિ સીરિઅલ યોજના હેઠળ બાજરી, જુવાર, રાગી વગેરે જેવા પાકોનું વાવેતર વધે તથા ઉત્પાદન વધે તે હેતુથી ખેડૂતોને આધુનિક તકનીક તેમજ નવીનત્તમ સંશોધનોથી પરિચિત કરાવવા માટે કાલોલ તાલુકાના જલારામ મંદિર, ખંડોળી મુકામે આગામી તારીખ ૨૭.૦૨.૨૦૨૪ના રોજ ૧૦- કલાકે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના અધ્યક્ષસ્થાને કૃષિ મેળાનું આયોજન કરાશે.
આ કાર્યક્રમમાં ખેડૂતોને ખેતીવાડી વિભાગની ટ્રેકટર, ખેત ઓજારો, સિંચાઇના સાધનો વગેરે જેવી યોજનાની સમજ આપવામાં આવશે તેમજ લાભાર્થીઓને સ્થળ પરથી લાભના પેમેન્ટ હુકમ પણ વિતરણ કરાશે. આ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો અંગે સમજ આપવામાં આવશે તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રતિભાવ પણ જણાવવામાં આવશે.
કાર્યક્રમના સ્થળે વિવિધ વિભાગોના ૧૫ જેટલા સ્ટોલ ઉભા કરી યોજનાકીય લાભ અંગે સમજ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ ખેડૂતો ભાગ લઈ યોજનાકીય લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલે એક યાદીમાં જણાવ્યું છે.