મોદી સરકારના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના કેન્દ્રીય મંત્રી વિરેન્દ્રકુમારે કાલોલ વિધાનસભા બેઠકની સમીક્ષા કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ભાજપના નેતાઓએ કેન્દ્રીય મંત્રીનું ભગવા રંગે ભવ્ય સ્વાગત કર્યું

મોદી સરકારના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના કેન્દ્રીય મંત્રી વિરેન્દ્રકુમારે શુક્રવારે કાલોલ વિધાનસભા બેઠકની મુલાકાતે આવ્યા હતા, કેન્દ્રીય મંત્રીના સ્વાગતમાં કાલોલ ભાજપના નેતાઓએ વરસાદના વિઘ્ન વચ્ચે પણ ભવ્ય રેલી યોજીને દબદબાભેર સ્વાગત કર્યું હતું અને સુવર્ણહોલ ખાતે મંત્રીએ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરીને ભાજપની જીતનો મંત્ર આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ સપ્તાહમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓને આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાં ભાજપ અજેય રાખવા સાથે રેકોર્ડ બ્રેક બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેને હાંસલ કરવા ભાજપ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેથી આગામી પાંચ દિવસ સુધી મોદી સરકારના કેન્દ્રીય મંત્રીઓ વિધાનસભા બેઠકોમાં પ્રવાસ ખેડવાના હોવાથી શુક્રવારે મોદી સરકારના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી વિરેન્દ્રકુમાર કાલોલમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી સાથે પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડ પણ જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કેન્દ્રીય મંત્રીના સ્વાગત સમયે ભારે વરસાદ થયો હતો તેમ છતાં સ્થાનિક કાર્યકરોએ વરસાદની પણ પરવા કર્યા વિના ભગવા રંગના પ્રભાવ મુજબની દબદબાભેર રેલી યોજીને મંત્રીને સુવર્ણહોલ ખાતે દોરી ગયા હતા. મંત્રીની રેલી અને બેઠકમાં કાલોલ ધારાસભ્ય સાથે કાર્યકરો, તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભાજપના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, કાલોલ નગર પાલિકા પ્રમુખ સહિતના ભાજપના સભ્યો, કાલોલ ભાજપ સંગઠનના પ્રમુખ સહિત ભાજપની યુવા મોરચા, મહિલા મોરચા સહિત દરેક પાંખના પદાધિકારીઓ અને કાર્યકરો, પેજ પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણ હોલ ખાતે ભાજપના દરેક પાંખના પદાધિકારીઓ મંત્રી અને સાંસદનું સ્વાગત કર્યું હતું.
વિધાનસભા બેઠકની સમીક્ષા અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા આવેલા મંત્રીએ દરેક કાર્યકરોને મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અટલ વિશ્વાસ રાખીને અથાક મહેનત અને ભવ્ય જીતનો મંત્ર આપ્યો હતો.

કાલોલ વિધાનસભા બેઠકની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી વિરેન્દ્રકુમાર સાથે સ્થાનિક પત્રકારોએ કરેલા પ્રશ્નોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રીજો ખૂણો બનેલા આમ આદમી પાર્ટીના પ્રભાવ અંગે પુછતાં કેન્દ્રીય મંત્રીએ આમ આદમી પાર્ટીને ચુંટણીના પરપોટા જેવી ગણાવીને આમ આદમી પાર્ટી અંગે ભાજપને કોઈ ડર નથી અને ગુજરાતની પ્રજાનો ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અટલ વિશ્વાસ યથાવત જોવા મળશે એવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here