પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
મોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી મોટી જાનહાનિની સંભાવના હતી પણ સદનસીબે ટળી
પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડાની બજારો નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. શહેરમાં મોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી મોટી જાનહાની સર્જાઈ શકે તેવી પુરેપુરી શક્યતા હતી પરંતુ સદનસીબે જાનહાનિની ઘટના ટળી ગઈ હતી.
પાલનપુર શહેરમાં હાલમાં દિપાવલીના પર્વને લઇ ફટાકડા બજારમાં તેજી આવી છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ફટાકડાના સ્ટોલ અને લારીઓ જોવા મળી રહી છે ત્યારે પાલનપુર બજારમાં સ્ટોલ લગાવનાર વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાથી મોટી જાનહાનિ બની શકે તેવી પુરેપુરી શક્યતા રહેલી છે. આજે પાલનપુર દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડા બજાર નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે દોડધામ મચી જવા પામી હતી આ બાબતે પાલનપુર ફાયર ફાઈટર વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.