ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, પંચમહાલ ડિવિઝન, ગોધરાની યાદી જણાવે છે કે, ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તારીખ ૨૦-૦૨-૨૦૨૩ થી ૨૪-૦૨-૨૦૨૩ સુધી “બચત બસંત મહોત્સવ” ઉજવવા જઈ રહ્યું છે. આ મહોત્સવ દરમ્યાન સામાન્ય નાગરિકોને પોસ્ટ ખાતાની વિવિધ બચત યોજનામાં રોકાણ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગોધરા, દાહોદ, લુણાવાડા, હાલોલ, સંતરામપુર, અને દેવગઢ બારીયા ખાતે વિવિધ સ્થળોએ જેવા કે સ્કુલ, કોલેજો, બગીચાઓ, મંદિર, યોગા કેમ્પ, સત્સંગ આશ્રમ ખાતે કેમ્પનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા હાલમાં ભારત સરકારના નાણા વિભાગ દ્વારા વિવિધ બચત યોજનાઓના વ્યાજ દરમાં જે વધારો કરવામાં આવ્યો અને આ વ્યાજ દર ઉપર દરેક પોસ્ટ ખાતાની સેવિંગ ડિપોઝીટ પર મહત્તમ વ્યાજથી બીજી સંસ્થાઓ કરતા કેટલો લાભ થાય તેની સંપૂર્ણ માહિતી ઉપરોક્ત કેમ્પ દ્વારા સામાન્ય નાગરિકોને પુરી પાડવામાં આવશે. આ અભિયાન થકી અંદાજિત ૮૫૦૦ જેટલા સેવિંગ્સ નવા ખાતા ખોલવા પંચમહાલ ડિવિઝને નિર્ધાર કરેલ છે.
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત મહોત્સવ દરમ્યાન વધુમાં વધુ થાપણો નજીકની પોસ્ટ ઓફિસમાં જમા કરી પોતાના પરિવારને સમૃદ્ધ બનાવવાનું આહવાન કરવામાં આવે છે.