ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
રાજ્ય સરકાર દ્વારા આરંભાયેલા અભિયાનમાં પંચમહાલ જિલ્લાના સફાઇકામદારો સહિત નાગરિકોએ કર્યું શ્રમદાન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં અત્યાર સુધીમાં પંચમહાલ જિલ્લાના ૭૩૩ જેટલા જાહેર સ્થળોની સફાઇ કરવામાં આવી છે. જેમાં પાણીના જાહેર સ્ત્રોતો, નદીનાળા, સરકારી કચેરીઓ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, શાળાઓ,ગ્રામ પંચાયતો,આંગણવાડી વિસ્તારો,મહાપુરુષોની પ્રતિમાઓ સહિત જાહેર માર્ગોની સફાઇ કરવામાં આવી છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન પંચમહાલના કો.ઓર્ડીનેટરશ્રીના જણાવ્યા અનુસાર તા.૧૦ ઓકટોબરથી આજ તા.૧૯ ઓકટોબર સુધી જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે અલગ અલગ સ્થળોએ ટીમો બનાવીને સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી.જેમાં જિલ્લામાં ૭૩૩ સ્થળોની સફાઈ કરાઈ છે.જેમાં રવિવાર તા.૧૫ ઓકટોબરના સૌથી વધુ ૨૯૦ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.સફાઈ અભિયાનમાં સફાઈ કામદારો સહિત ગ્રામજનો અને નાગરિકોના સહિયારા પ્રયત્નો થકી આગળ પણ સ્વચ્છતા અભિયાન ૧૫ ડિસેમ્બર સુધી ચાલશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આજરોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ જેમાં ગોધરાના સાંપા,ગદુકપુર, ટિંબા સહિતના ગામોમાં જાહેર વિસ્તારોમાં તો રતનપુર ગામે ધાર્મિક સ્થળની સફાઈ કરાઈ હતી. શહેરા તાલુકાના ઉમરપુર ગામે તળાવ સહિત બાહી, ગાગડિયા, લાભી,વાઘજીપુર ગામોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ છે.કાલોલ તાલુકાના રાબોડ ગામે તળાવની સફાઈ, સણસોલી ખાતે વિદ્યાર્થીઓએ રેલી કાઢીને સ્વચ્છતા અભિયાન જાગૃતિ માટે સંદેશો આપ્યો હતો. મેદાપુર, તરવડા પ્રાથમિક શાળાઓ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી.
હાલોલ તાલુકાના વરસડા,નાવરિયા અને કથોલા ખાતે તળાવની સફાઈ કરાઈ હતી.મોરવા હડફ તાલુકાના ખાબડા અને કડાદરા ગામે તળાવની સફાઈ સહિત ગાજીપુર ખાતે અવેરનેસ કાર્યક્રમ અને મોરવા,વાસદલીયા સહિતના ગામોમાં જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી.
જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ,લફણી,નાથપુરી,નારુકોટ સહિતના ગામોમાં જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે પ્રતિમાની સફાઈ,ધનેશ્વર ગામે તળાવની સફાઈ,રીંછીયા પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા ક્વિઝ અને સફાઈ,કાંટુ,વાવકુલ્લી સહિતના ગામોમાં સફાઈ કરાઈ હતી.