પંચમહાલ જિલ્લાના પેન્શનરોએ મે-૨૦૨૪થી જુલાઇ-૨૦૨૪ના માસ દરમિયાન સબંધિત બેંકમાં રૂબરૂ હાજર થઇ હયાતી અંગેનું ફોર્મ ભરવાનું રહેશે

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

હયાતી પ્રમાણપત્ર રજુ નહિ કરનાર પેન્શનરોને ઓગષ્ટ-૨૦૨૪થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરાશે

જિલ્લા તિજોરી કચેરી પંચમહાલ-ગોધરા ખાતેથી IRLA સ્કીમ હેઠળ બેંક મારફતે પેન્શન મેળવતા તમામ પેન્શનરશ્રીએ વાર્ષિક હયાતીની ખાત્રી કરાવવાની થાય છે. આ માટે તમામ પેન્શનરોએ મે-૨૦૨૪થી જુલાઇ-૨૦૨૪ના માસ દરમિયાન સબંધિત બેંકમાં રૂબરૂ હાજર થઇ હયાતી અંગેનું ફોર્મ ભરીને તે જ બેંકમાં આપવાનું રહે છે. હયાતી માટેના પેન્શનરશ્રીઓના નામ અને પી.પી.ઓ નંબર સહિતના પ્રિ-પ્રિન્ટેડ ફોર્મ ભરીને તમામ બેંકમાં દરેક પેન્શનર માટે તૈયાર કરીને મોકલી આપવામાં આવેલ છે.

કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરશ્રીએ આ જ ફોર્મમાં પુનઃ લગ્ન કરેલ નથી, તેવુ પ્રમાણપત્ર આપવાનું છે. ૫૦(પચાસ) વર્ષની ઉંમર પુરી કરેલ મહિલા પેન્શનરોએ આવુ પ્રમાણપત્ર આપવું જરૂરી નથી, પરંતુ આવા પેન્શનરશ્રીએ પોતાની જન્મતારીખ દર્શાવવાની રહેશે. પરદેશમાં વસતા પેન્શનરશ્રીએ હયાતીની ખાત્રી માટે જે તે દેશના વિસ્તારના નોટરીના અસલ સહિ, સિક્કાવાળું પ્રમાણપત્ર, પીપીઓ નંબર તથા બેંકનું નામ દર્શાવી મોકલવાનું રહેશે. હયાતી પ્રમાણપત્ર રજુ નહિ કરનાર પેન્શનરોને ઓગષ્ટ-૨૦૨૪થી પેન્શનનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે. જેની નોંધ લઇ તમામ પેન્શનરશ્રીએ હયાતીની ખરાઇ (સ્વ પ્રમાણિત પાનકાર્ડની નકલ સાથે) સમયમર્યાદામાં કરવા વિનંતી છે.

વધુમાં, હયાતીની Online ખરાઇ જીવનપ્રમાણ પોર્ટલની વેબસાઇટ https://jeevanpramaan.gov.in થી પણ કરાવી શકાય છે. અને પેન્શનની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર https://cybertreasury.gujarat.gov.in પેન્શન પોર્ટલ ઉપરથી મેળવી લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી પંચમહાલ ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here