બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
આજે તા. ૨૫મી એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મલેરિયા અને ડેન્ગ્યુ જેવા જોખમી રોગો સામે લોકોમાં જાગૃતિ આવે તથા મલેરિયા અને ડેન્ગ્યુને નિયંત્રિત કરી શકાય એ માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, છોટાઉદેપુર દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી મચ્છરોની ઉત્પતિ અટકાવવા, પુખ્ત મચ્છરોનો નાશ કરવાનું કામ મુશ્કેલ હોવાથી પોરા પેદા થતા અટકાવવા અંગે જાણકારી આપવામાં આવી હતી. આ
ઉપરાંત ઘરમાં કે ઘરની આજુબાજુ કોઇ પણ જગ્યાએ પાણી ભરાઇ ન રહે, બિન ઉપયોગી પાત્રમાં પાણી ભરાયેલું હોય તો તેનો નિકાલ કરવા અંગે પણ વિગતે સમજ આપવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ લોકજાગૃતિ આવે એ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં તેમજ અર્બન વિસ્તારમાં મેલેરિયા રોગના અટકાયત માટે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
તેમજ શાળાઓમાં વાર્તાલાપ અને મેલેરિયા સંબંધી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જાન્યુઆરી-૨૦૦૩ થી માર્ચ- ૨૦૨૩ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં મેલેરિયાની ચકાસણી માટે ૭૦૨૧૩ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૩ કેસ વાઇવેકસ પ્રકારના અને ૧ કેસ ફાલ્સીપેરમ મેલેરિયાનો મળી આવ્યા હોવાનું જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી જણાવાયું છે.