છોટાઉદેપુર જિલ્લાના મંડલવા ગામનાં ખેડૂતોનો વિરોધ… ભરતમાલા પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ જમીન આપવાની સરકારને પાડી ના…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોમાં અત્યારે ભારતમાલા પ્રોજેક્ટ ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના કેટલા ગામડાના ખેડુતોની જમીનો આ રોડ માં જઈ રહી છે. ત્યારે આજરોજ સર્વે કરવા ગયેલા એસ.ડી.એમ તથા પોલીસ સામે આ પ્રોજેકટનો ખેડૂતોએ વિરોધ કરીને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા આજદિન સુધી ખેડૂતોની માગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે જિલ્લા લેવલે આવેદનપત્રો આપીને થાકેલા ખેડૂતોએ આજે મંડલવા ખાતે સર્વે કરવા ગયેલા એસ.ડી.એમ સામે સ્થાનિક ખેડુતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો.

જમીન સંપાદિત થવાથી અમે પાયમાલ થઈ જઈશું. એવા ઘણા ખેડૂતો છે જે આ જમીન સંપાદનથી ખેડૂત ખાતેદાર પણ રહેતા નથી. અમારા પૂર્વજોનો એકમાત્ર વારસો આ અમારી જમીન છે જેનું સંપાદન થતાં અમે જમીન વિહોણા થઈ જઈશું. તો એવા પણ ઘણા ખેડૂતો છે કે જેમની તમામ જમીન ભારત માલા પ્રોજેક્ટ હેઠળ સંપાદિત થઈ જવાની છે ત્યારે ખેડૂતો જમીન વિહોણા તો થઈ જ જશે પણ સાથે ખેડૂતો ખેડૂત પણ રહેશે નહીં એમ પણ ઘણા ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે આ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જરૃર પડયે પ્રતિક ઉપવાસ તેમજ રેલીનું પણ આયોજન કરાશે. ખેડૂતો એ જણાવ્યું હતું કે સત્ય જીતતું નથી સંગઠિત સત્ય જીતે છે. આ રોડ અમને કોઈ પણ ભોગે મંજૂર નથી.

ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જુદા જુદા જિલ્લાઓને-રાજ્યોને જોડાતા હાઈવે તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે પ્રોજેક્ટનું કામ પણ શરૂ થવાનું છે. પણ હાલમાં હાઈવેના નિર્માણ માટે ખેડૂતોની જમીન સંપાદિત કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આ પ્રોજેક્ટનો છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે.

કેન્દ્ર સરકાર તરફથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આખા દેશમાં મોટા હાઈવે બનાવવા માટેનું કામ ચાલુ છે. ત્યારે મંડલવા ગામના ખેડૂતોએ આ વિરોધ કર્યો છે. કારણ કે, આ રોડ તૈયાર થવાથી એમના ખેતરને માઠી અસર થઈ રહી છે. તેથી આ પ્રોજેક્ટ સામે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, આ પ્રોજેક્ટ માટે હાઈવે માટે બીજી સાઈટ પસંદ કરવામાં આવે એવી ખેડૂતોની માગણી છે. જોકે, ઘણી વખત હાઈવેના પ્રોજેક્ટમાં આવતી જમીનને સરકારને આપી દેવી પડે છે. પણ ઘણા એવા કિસ્સાઓ બન્યા છે જેમાં નક્કી કરેલું વળતર ખેડૂતો સુધી પહોંચ્યું જ નથી હોતું. આ ઉપરાંત, ખેતર અડધું થઈ જતું હોવાથી પાકના ઉત્પાદનને પણ અસર થાય છે. જેના કારણે આ છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામના ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ સામે બાંયો ચડાવી છે. જોકે, આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. છોટાઉદેપુર તાલુકામાંથી ખેડૂતોએ અનેકવાર કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. ગામના ખેડૂતોએ અનેકવાર આવેદનપત્ર પાઠવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારમાંથી પસાર થઈને આ રસ્તો જાય છે ત્યારે મંડલવા ગામનાં ખેડૂતોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here