ગોધરા સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગની પ્રશંસનીય કામગીરી

કોરોના સંક્રમણકાળ દરમિયાન 2599થી વધુ બાળકોને દાખલ કરી સારવાર અપાઈ

424 કોરોના સંક્રમિત બાળકોને પણ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવાઈ

ગોધરા(પંચમહાલ),

ગોધરા સિવિલ હોસ્પિટલનો પિડીયાટ્રીક વોર્ડ કોરોના કાળ દરમિયાન વિવિધ તકલીફોથી પીડાતા નવજાત શિશુઓ અને બાળકો માટે રાહતરૂપ વિસામો બની રહ્યો છે. કોરોના સંક્રમણના કપરા સમયે પણ જિલ્લાના નવજાત શિશુઓ-બાળને શ્રેષ્ઠ સારવાર સતત મળી રહે તે સુનિશ્ચિત કરતા એપ્રિલ-2020 થી એપ્રિલ-2021 દરમિયાન કુલ 2599થી વધુ બાળકો અહીં દાખલ થઈ સારવાર મેળવી છે. જન્મ સમયે અતિ ઓછું કે ઓછુ વજન ધરાવતા શિશુઓ, અધૂરા માસે જન્મેલા બાળકોમાં વિકાસની સમસ્યા, નવજાત શિશુઓમાં વિવિધ પ્રકારના ચેપ સહિતના સ્વાસ્થ્યના પ્રશ્નો માટે વિશેષ પ્રકારની સુવિધાઓ સાથે સારવારની જરૂર પડતી હોય છે, જે માટે ગોધરા સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વોર્ડમાં કુલ 15થી વધુ બેડ્સ અને ગંભીર સ્થિતિના બાળકો માટે 03 આઈસીયુ બેડ્સની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં પિડીયાટ્રીક એમ.ડી. ડો. સંગીતા પી. કુમારના નેતૃત્વ નીચે 07 રેસીડેન્ટ ડોક્ટર્સ (સીબીએસ)ની ટીમ નાનકડા ભૂલકાઓની સારવાર કરવા માટે ખડેપગે હાજર રહે છે. આ સમયગાળા દરમિયાન પિડીયાટ્રીક વોર્ડમાં કુલ 1533 તેમજ પોષણની જટિલ સમસ્યા ધરાવતા 68 બાળકોને N.R.C. (ન્યુટ્રીશન રીહેબિલીટેશન સેન્ટર)માં, જન્મ સાથે બિમાર હોય તેવા 773 બાળકોને S.N.C.U. (સિક ન્યુબોર્ન કેર યુનિટમાં અને વધુ ગંભીર સ્થિતિમાં હોય તેવા 225 બાળકોને P.I.C.U. (પિડીયાટ્રીક આઈસીયુ)માં રાહતદરે સારવાર આપવામાં આવી છે. વિભાગના ડો. મૌલિક જણાવે છે કે મોટેભાગે નીઓ નેટલ સેપ્સીસ (નવજાત શિશુને ચેપ) કે જે શિશુઓમાં મરણનું સૌથી મોટું કારણ છે, સેપ્ટીસેમિયા, ઓછા વજન અને અધૂરા વિકાસના કારણે થતી વિવિધ સમસ્યાઓ, એનિમિયાની ગંભીર સ્થિતિ, શ્વાસને લગતી સમસ્યાઓના કારણે પંચમહાલ અને મહિસાગર સહિતના પડોશી જિલ્લાઓના બાળકો સારવાર માટે આવે છે. જેમને આઈ.વી. એન્ટિબાયોટિક, જરૂર પડ્યે બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ઓક્સિજન સપોર્ટ સહિતની સારવાર આપવામાં આવે છે. બાળકની સ્થિતિ અને વિકાસ ઈચ્છનીય સ્થિતિમાં આવે ત્યાર બાદ તેને જરૂરી સૂચનાઓ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવે છે અને ડિસ્ચાર્જ બાદ પણ 2 મહિના સુધી તેના વજન સહિતના પેરામીટર્સ ટ્રેક કરવામાં આવે છે. આ ઉપરાંત, કોરોના સંક્રમિત બાળકોની સારવાર પણ અહીં કરવામાં આવે છે. વર્ષ 2020માં આવા 161 અને વર્ષ 2021માં અત્યાર સુધી કુલ 263 સંક્રમિત બાળકોને કોરોનાની સારવાર આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here