ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-
શહેરા નગરની સગર્ભાએ મૃત બાળકને જન્મ આપતા તબીબે બાળકનું લેબોરેટરી પરીક્ષણ કરાવવાની સંમતિ મેળવી લોહી અને ચામડી લેવાની વાત કરી હતી : મૃતક માસુમના પરિવારજનો
પરીક્ષણ માટે લોહી અને ચામડીની સાથે જમણા હાથની એક આંગળી અને અંગુઠો તેમજ એક પગનો અંગુઠો કાપી લીધો તથા છાતીના ભાગે ચીરો કરતા પરિવાર જનો ચોંકી ઉઠ્યા…
નિર્જીવ નવજાત ઉપર ક્રુરતાં પૂર્વક શસ્ત્રક્રિયા કરતા તબીબે પરિવાર જનોના પ્રશ્નોના ઉત્તરે ઉદ્ધતાઇ પૂર્વક જવાબો આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો…
પોલીસે એડી દાખલ કરી મૃતક બાળકને પેનલ પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો…
ડો. સુજાત વલી અગાઉ પણ એક ચોક્કસ ધર્મની લાગણી દુભાવતા ઉદ્ધતાઇ ભર્યા વાણી વિલાસને લઈને કલમ-295A,298 મુજબના ગુન્હામાં એક રાત પોલીસ લોકઅપમાં રહી આવ્યા છે…
મળતી માહિતી મુજબ ગતરોજ શહેરા નગરના અકીબ ઇદરીસ લડબડ પોતાની સગર્ભા પત્નીને લઈ પ્રસુતિ માટે ગોધરા નગરની લારા હોસ્પિટલ ખાતે આવ્યા હતા, પ્રસુતિ દરમિયાન તેઓની પત્નીએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. પ્રથમ કોખે મૃત નવજાતનો જન્મ થતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું, ત્યારબાદ લારા હોસ્પિટલના સર્વેસર્વા એવા ડો. સુજાત વલીએ મૃતક નવજાતના જન્મને લઈ પરિવાર જનો સાથે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે નવજાત બાળકના મૃત્યુનું કારણ જાણવું હોય તો બાળકનું લેબોરેટરી પરીક્ષણ કરાવવું પડશે, જેના માટે બાળકનું લોહી અને ચામડી પરીક્ષણ માટે મોકલવી પડશે.. પરિવાર જનોએ ડોક્ટરની વાત સાથે સહમત થઈ બાળકનું લોહી અને ચામડી થકી લેબોરેટરી પરીક્ષણ કરાવવાની તૈયારી દર્શાવી હતી.
ત્યારબાદ જ્યારે હોસ્પિટલ દ્વારા મૃત બાળકને પરિવાર જનોને સોંપવામાં આવ્યો ત્યારે તેઓ બાળકની હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા, ડોકટરના જણાવ્યા મુજબ લેબોરેટરી માટે લોહી અને ચામડી લેવાની વાત હતી પરંતુ જ્યારે મૃત બાળક તેઓની સામે મુકવામાં આવ્યો ત્યારે તેના જમણા હાથની એક આંગળી અને અંગુઠો તેમજ ડાબા પગનો એક અંગુઠો ક્રૂરતા પૂર્વક કપાયેલ હાલતમાં હતો તથા છાતીના ભાગે પણ શસ્ત્રક્રિયા કરી હોવાનો ચીરો દેખાઈ રહ્યો હતો.
પોતાના નસીબના લેખા જોખાનો સ્વીકાર કરનાર પરિવારે બાળકના અંતિમ દર્શન કરી એને દફન કરવાની તૈયારીઓ કરી લીધી હતી પરંતુ મૃતક નવજાત ઉપર ક્રૂરતા પૂર્વક કરવામાં આવેલ શસ્ત્રક્રિયાને જોઈ સૌ કોઈ કમકમી ઉઠ્યા હતા.. પ્રસુતાની સાથે આવેલ મહિલાઓના પગ તળેથી જમીન ખસી ગઈ હોય એમ તેઓના મુખેથી ચીસ પોકારાઈ ગઈ હતી.. જન્મજાતે મૃતક બાળકની આવી દયનીય હાલત જોઈ અનેક સવાલો સાથે જ્યારે પીડિત પરિવાર ડો સુજાત વલી પાસે ગયું ત્યારે ડોક્ટર દ્વારા સાયન્ટિફિક ભાષામાં વાતો કરી પરિવાર જનોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પરિવાર જનોનો એક જ પ્રશ્ન હતો કે લેબોરેટરી પરીક્ષણ માટે લોહી અને ચામડી લેવાની વાત હતી, આંગળીઓ કેમ કાપી..!!? ત્યારે ડોકટર દ્વારા લાંબી ચર્ચાના અંતે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરી જે કરવું હોય એ કરી લો નો ઉડાવ જવાબ મળતા પીડિત પરિવારને ન્યાયની આશાએ પોલીસના દ્વારે જવું પડ્યું હતું. અને ગોધરા એ ડિવિઝન પોલીસ દ્વારા માનવતાની રાહે એડી દાખલ કરી મૃતક બાળકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો..
જ્યારે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે મૃતક બાળકના પિતા પાસેથી વિગત મેળવી એડી દાખલ કરવાની કાર્યવાહી થઈ રહી હતી તે દરમિયાન ડો સુજાત વલીએ સોશિયલ મીડિયામાં પોતાનો વિડીઓ વાયરલ કરી તેમજ તથા કથિત મેસેજ વાયરલ કરી જણાવાયું હતું કે,
“માઇક્રો એરાની તપાસ જીનેટિક બીમારી ડાયગ્નોસ કરવા માટે કરાવવામાં આવે છે. દર્દીના 15 થી વધુ સગાઓને ત્રણ વખત સમજાવવામાં આવેલ છે. માઇક્રો એરા માટે પાંચ અંગો માથી ટીસ્યું સૅમ્પલ લેવા પડે અને હાર્ટ માથી રક્ત લેવું પડે તેવું લેબોરેટરીના ટેક્નિશિયન દ્વારા બે વખત દર્દીના સસરા સહિત તમામ સગાઓને સમજાવેલ તથા લેખિતમાં સમ્મતી લીધેલ છે. તેમ છતાં તમો સૌ કોઈ બદઈરાદા પૂર્વક આવો મુદ્દો ઊભો કરીને દર વખતની જેમ ખોટો ઝગડો કરવા ઉશકેરો છો તે ખેદ જનક છે. તમારા જેવા નાગરિકે આવી પ્રવૃતિમાં સામેલ થવું જોઈએ નહીં. તમો ગમે તેટલા ધમ પછાડા કરશો અને લોકોને ખોટી રીતે ગેર માર્ગે દોરી તેઓને ઉશ્કેરશો તો પણ આ ઘટના માથી કોઈ પણ આર્થિક ઉપાર્જન થસે નહીં અમો તમારી ખોટી આર્થિક માંગણીને માની લઈશું તેવી અપેક્ષા રાખતા હોય તો તે મોટી ભૂલ ગણાશે. (ડોક્ટર સુજાત વલી)”
ડોક્ટર દ્વારા વાયરલ કરેલ વિગત બાબતે પીડિત પરિવારે જણાવ્યું હતું કે ડો. સુજાત વલી નક્કર જુઠ બોલી રહ્યા છે, તેઓ દ્વારા મૃતક બાળકના શરીરમાંથી માત્ર લોહી અને ચામડી લેવાની સમજુતી અપાઈ હતી, મૃતક માસુમના અંગો કાપવાની સંમતિ આપીએ એટલા ક્રુર અમે નથી.. અને ડોકટર જે રીતે સફેદ જુઠ બોલી આર્થિક માંગણીની વાત કરી રહ્યા છે એજ દર્શાવે છે કે તેઓએ ગમે તે ભુલ કરી હશે.. અને જે ઉશ્કેરણીની વાત કરી રહ્યા છે એ ઉશ્કેરણી કરવાની કોશિશ ડોકટરના માણસો દ્વારા અમારી સાથે કરવામાં આવી હતી, ક્રોધિત થઈને ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરી અમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હતો, જેથી અમે ત્યાં કઈ કરીએ અને ડોકટર અમારા પર ખોટા આક્ષેપ કરી પોતાની ભુલને દબાવી દે.. પરંતુ અમોએ સંયમ રાખી કાયદા પર ભરોસો મુક્યો છે, અને અમને આશા છે કે મૃતક માસુમને ન્યાય મળશે.. તેમજ આજ પછી ડોક્ટર અન્ય કોઈ સાથે આવું કરતા પહેલા વિચાર કરશે..
પીડિત પરિવાર જનોની મદદે આવેલ સામાજિક કાર્યકર તોફિક મલેક સાથે વાત કરતા તેઓએ પણ જબાવ્યું હતું કે જ્યારે ડોક્ટરને મૃતક બાળકના અંગ કોની સંમતિથી કાપ્યા એવું પૂછવાનો પ્રયાસ કરાયો ત્યારે ડોકટર અને એમના માણસોએ જોર જોરથી બુમો પાડી અમારી સાથે અસભ્ય વ્યવહાર કર્યો હતો અને અમોને ઉશ્કેરવાનો છેલ્લી હદ સુધીનો પ્રયાસ કરાયો હતો.. પરંતુ મૃતક માસુમના સ્વજનો આઘાતમાં હોવા છતાં ખુબજ સંયમતા દાખવી શાંત રહ્યા હતા.. અને કાયદા ઉપર વિશ્વાસ રાખી પોલીસના શરણે થયા હતા..
તોફિક મલકે વધુમાં જણાવ્યું હતું કે અમો ડો સુજાત વલીને સારી રીતે ઓળખીએ છીએ, અગાઉ પણ તેઓએ હિન્દુ મુસ્લિમ ધર્મને ટાર્ગેટ કરી અનેક વખતે પોતાની મનગમતી માનસિકતાને સરાજાહેર કરી છે અને પોતાની લાગવક તેમજ અભેદ સંબંધોના જોરે ઘમંડમાં આવી માનવતાના પ્રેરક એવા સૂફી સંતોને પોતાની જુતી સાથે સરખાવ્યા છે, ડો સુજાત વલી પોતાની આદત મુજબ હાલ જે રીતે વિડીઓ વાયરલ કરી અમોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.. એની પાછળનું કારણ તેઓએ જ્યારે ધાર્મિક લાગણી દુભાવી હતી ત્યારે ડોકટરના વિરૂદ્ધમાં સભ્ય સમાજ રોડ પર ઉતરી આવ્યો હતો અને ડોકટર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે IPC ની કલમ ૨૯૫ એ,૨૯૮ મુજબનો ગુન્હો નોંધાયો હતો અને ડોકટર એક રાત્રી લોકઅપમાં પુરાયા હતા જેમાં ફરિયાદી અમે બન્યા હતા અને આજે પણ ગોધરાના 2-ચીફ જ્યૂડીસીયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં CC 1136/2021 નંબરથી કેસ ચાલી રહ્યો છે.. માટે જ તેઓ આજે અમોને સીધે સીધા રડારમાં લઈ રહ્યા છે તેમછતાં તેઓનો પ્રત્યક્ષ રીતે અમોને ઉશ્કેવાનો પ્રયાસ અસફળ રહ્યો તો હવે અમોને પરોક્ષ રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.. પરંતુ અમોએ પહેલા પણ સંયમતા દાખવી કાયદાની રાહ સ્વીકારી હતી અને આજે પણ અમે કાયદાના સંચાલકો પર અડગ વિશ્વાસ રાખી ન્યાયના હિત ખાતર સંયમ રાખીશું…