શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે બહોળી સંખ્યામાં ખેડૂતોએ યોજનાકીય સ્ટોલ પ્રદર્શનની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું
રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યના તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખેડૂતોએ ધાંધલપુર ગામે ભરતભાઈ પારસીંગભાઇ બારિયાના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચારી અને વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત કરાવીને માર્ગદર્શિત કર્યા હતા.આ સાથે બહોળી સંખ્યામાં ખેડૂતોએ વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શિત યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કક્ષાએથી મદદનીશ ખેતી નિયામકશ્રી એમ.કે.ડાભી,કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ તથા આત્માના સ્ટાફ દ્વારા હાજર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને તેના આયામો,આધુનિક ખેતી,મિલેટ્સ ધાન્ય પાકોનું વાવેતર અને ફાયદા અંગે માહિતી આપી હતી.પ્રાકૃતિક કૃષિના ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા જીવામૃત બનાવવાની પદ્ધતિનું નિદર્શન કરીને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેતી વિસ્તરણ અધિકારીશ્રી બી.એમ.બારીઆ,ગ્રામસેવક,બી.ટી.એમ,એ.ટી.એમ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.