કોરોનાગ્રસ્ત આધેડ નિવૃત્ત પોલીસ કર્મચારી હતા અને કાલોલ થી જ નિવૃત્ત થયા હતા.
કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા
કાલોલ શહેરમાં બુધવારે સાંજે એક સાથે ત્રણ પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા હતા. જે પૈકી પરષોત્તમનગર સોસાયટીના રહીશ ગફારમિયાં અબ્બાસમિયાં પઠાણ (ઉ.વ ૬૬ નિવૃત્ત પોલીસ કર્મચારી )પણ તેમની નાદુરસ્ત તબિયતને કારણે કોરોના પ્રભાવિત બન્યા હતા. જેમના કોરોના રીપોર્ટ પોઝીટીવને પગલે બુધવારે રાત્રે જ તાત્કાલિક અસરથી ગોધરા સ્થિત કોરોના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કોરોના સામેના જંગમાં દુર્ભાગ્યે ચોવીસ કલાકની સારવારને અંતે કોરોનાએ આધેડને માત આપતા ગફારમિયાં પઠાણનું શુક્રવારે સવારે મોત નીપજ્યું હતું. જે અંગે તંત્રએ તેમના પરિવારજનોને જાણ કરી તંત્રની કોરોના અંતર્ગત વિધી મુજબ મૃતકની દફનક્રિયા ગોધરા ખાતે જ કરવામાં આવી હતી. આ સાથે કાલોલ શહેરના કોરોના પ્રભાવિત બનેલા કુલ ૨૧ દર્દીઓ પૈકી કોરોના અસરગ્રસ્ત બીજું મોત નીપજતા શહેરમાં કોરોના પ્રકોપનો ભય વર્તાયો હતો. આ સાથે કાલોલ તાલુકા વિસ્તારમાં કુલ ૩૨ કોરોના કેસો પૈકી ૩ મોત નોંધાયા હતા જે મધ્યે કાલોલ શહેરમાં કુલ ૨૧ કેસો પૈકી ૨ મોત, ૧૦ કેસો ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા અને હાલમાં ૧૦ જેટલા પ્રભાવિત દર્દીઓ કોરોના સારવાર હેઠળ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.