તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ
વિશ્વના ઈતિહાસમાં કાળી સાહી રેડનાર કોરોના વાયરસને લઈને હજુ પણ લોકોમાં ભયનો માહોલ દેખાઈ રહ્યો છે, ભૂતકાળમાં અનેક દર્દનાક બનાવો બન્યા અસંખ્ય મહામારીએ પંખ ફેલાવ્યા પણ તે સમયે લોકો દરેક પીડાનો સામનો કરવા દવા અને દુવાનો સહારો લેતા હતા પરંતુ પ્રવર્તમાન સમયમાં કોરોનાના માનવભક્ષી કહેરે માનવ જીવન માટે દવા અને દુવાના બન્ને દ્વાર બંધ કરી દીધા હતા એટલે કે જ્યારથી કોરોના વાયરસ નામક ચેપી રોગ દુનિયામાં આવ્યો છે ત્યારથી તેના ઉપચાર રૂપે કોઈ દવા શોધાઈ નથી તેમજ તેના ભયંકર સંક્રમણને કારણે સામાજિક અંતર જાળવવા દુવા-પ્રાર્થના માટેના બધા જ દ્વાર બંધ થઇ ગયા હતા. હાલ લોકડાઉનના ચાર ચરણ પછી અનલોક-૦૧ માં સરકારે શરતોને આધીન થોડી છૂટછાટ આપી છે જેમાં ગતરોજ રોજથી રાજ્યના કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધર્મ સ્થાનો શ્રદ્ધા-આસ્થા અને ઉપાસના કેન્દ્રો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ 8 જૂનથી તિલકવાડાના તિલકેશ્વર મંદિર, દ્વારિકાધીસ મંદિર, સપ્તમાતૃક મંદિર, સાંઈબાબા મંદિર, નર્મદા મંદિરની સાથે ગામના દરેક મંદિરના દ્વાર પૂજા અર્ચના માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેથી મંદિરમાં આવતા દરેક નગર્જનો શ્રદ્ધા પૂર્વક દર્શન માટે આવ્યા હતા અને આરતીમાં જોડાયા હતા અને દેવસ્થાનો માટેના તમામ દિશા નિર્દેશ તથા નિયમોનું પાલન કરીને મંદિરમાં પ્રવેશતા પહેલા ફરજીયાત સેનેટાઇઝ થઈ માસ્ક બાંધીને જરૂરી અંતર જાળવી મંદિરમાં પ્રવેશ કર્યો હતો તેમજ એજ રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધારા ધોરણોને ધ્યાનમાં લઈને નગરની મસ્જીદોમાં નમાજ અદા કરવામાં આવી હતી આમ ધાર્મિક સ્થાનો ખુલતા નગરજનોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.