કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. “સ્વાગત સપ્તાહ”ની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષા બાદ આજરોજ પંચમહાલ જિલ્લાના તમામ સાત તાલુકા ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તમામ તાલુકાઓ ખાતે વિવિધ પ્રશ્નોનું નિવારણ આવે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા તથા મોટાભાગના પ્રશ્નોનું હકારાત્મ્ક નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના સાત તાલુકા અંતર્ગત કાલોલ ખાતે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતા. જેમાં અરજદારો દ્વારા મોટાભાગની અરજીઓમાં રસ્તા,પાણી, દબાણો,નાળા બનાવવા, આંગણવાડી બનાવવી,લાઈટના થાંભલા હટાવવા,આવાસને લગતા પ્રશ્નો,શાળાને લગતા પ્રશ્નો,રાશનના પ્રશ્નો વગેરે રજુ કરાયા હતા.મોટાભાગની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.મોટાભાગના પ્રશ્નોના સુખદ નિવારણ માટે ઉપસ્થિત અધિકારીઓએ ક્યાંક નવી દરખાસ્ત કરવા, તો કેટલાક પ્રશ્નો માટે રૂબરૂ સ્થળ તપાસ કરવાની સૂચના હાજર રહેલા તમામ અધિકારીઓને આપી હતી.આ તમામ પ્રશ્નો માટે સાત દિવસમાં કાર્યવાહી પુર્ણ કરવા પણ સૂચના આપી હતી.
તા.૨૭ એપ્રિલના રોજ કલેકટર પંચમહાલ આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે, જેમાં વર્ચૂઅલી માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે તમામ જિલ્લા અને તાલુકાઓ પણ જોડાશે અને લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધવામાં આવશે.