શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
દલવાડા સી.આર.સી.કો.ઓર્ડીનેટર લલિતભાઈ બારોટ આયોજિત દલવાડા ક્લસ્ટરના 84 વિદ્યાર્થીઓ માટે NMMS માર્ગદર્શન વર્કશોપ નાયક ફળીયા તાડવા પ્રા.શાળા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં યોજાયો. મુખ્ય મહેમાન તરીકે પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના રાજ્ય કારોબારી રમણભાઈ ડી.પટેલ, પગાર કેન્દ્ર આચાર્ય હર્ષદભાઈ પટેલ, પેટા શાળાઓના આચાર્યો, તજજ્ઞો, 84 વ્હાલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ૐ કાર, પ્રાર્થના કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. લલિતભાઈ બારોટ દ્વારા સૌનું સ્વાગત તેમજ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. ડોડીયાણી પ્રા.શાળાના દાતા મદદનીશ શિક્ષક દિપકભાઈ પટેલ દ્વારા NMMS પરીક્ષા માર્ગદર્શન વર્કશોપના લાભાર્થી બાળકોને આપવામાં આવેલ ચોપડા, પેન, નાસ્તો વગેરે મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. તજજ્ઞ તરીકે બિનલબેન પટેલ, તન્વીબેન પટેલ, રાકેશભાઈ પ્રજાપતિ (નાયક ફળીયા તાડવા પ્રા.શાળા), જયેશભાઈ પટેલ (વિજાપુર પ્રા.શાળા), મિતેશભાઈ પ્રજાપતિ (વણઝારા ફળીયા તાડવા પ્રા.શાળા) વગેરે જ્ઞાનકુંજ પ્રોજેકટના માધ્યમથી ડીઝીટલ શૈક્ષણિક માર્ગદર્શન પરીક્ષા સુધી આપશે. તમામ બાળકોને પરીક્ષાનો મહાવરો કરાવવા OMR પદ્ધતિ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે. તેમજ તેના આધારે દરેક બાળકોને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. ડૉ.કલ્પેશ આર.પરમારે તમામ બાળકોને પદ્ધતિ સર મહેનત કરી પરિણામમાં ઉત્તમ સફળતા મેળવી તે માટે શુભેચ્છાઓ તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા. આભાર વિધિ દલવાડા પગાર કેન્દ્ર આચાર્ય હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર સંચાલન લલિતભાઈ બારોટ તેમજ યજમાન શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.