શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ ચોટીલામાં 28 ઓગસ્ટ 1896 ના રોજ થયો હતો. જે અંતર્ગત આજરોજ જૂની પાદરડી પ્રા.શાળા ખાતે તેમની 126 મી જન્મ જ્યંતીની ઉજવણી શાળા પરિવાર દ્વારા ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી. યજમાન શાળાના આચાર્ય જસવંતસિંહ બારીઆએ પ્રાસંગિક ઉદ્દબોધન તેમજ કાર્યક્રમમાં સૌનું સ્વાગત કર્યું હતું. મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, દેવલિયા પ્રા.શાળાના આચાર્યશ્રી તેમજ બાળ સાહિત્યકાર વિનોદભાઈ પી.ત્રિવેદી દ્વારા બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ તેમના પુસ્તકો વાંચવા પર ભાર મુક્યો હતો. શાળા પરિવાર દ્વારા પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ફોટોગ્રાફી રણજીતસિંહ બારીઆ તેમજ આભાર વિધિ ભાનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા અનુસાર ઝવેરચંદ મેઘાણીને ‘છેલ્લો કટોરો’ કાવ્ય ગોળમેજી પરિષદમાં જતા મહાત્મા ગાંધીને સંબોધીને ગાયું હતું. ત્યારે મહાત્મા ગાંધીએ તેમને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાઝયા હતા. ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં 14 સપ્ટેમ્બર 1999 માં ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી. તેમના પુસ્તકોમાં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડાં, ધરતીનું ધાવણ, લોકસાહિત્યનું સમાલોચન, યુગવંદના, તુલસિકયારો, વેવિશાળ, બોળો, કિલ્લોલ, વેણીનાં ફૂલ, સમરાંગણ અને સોરઠ તારા વહેતાં પાણી વગેરે સંદર્ભે ચર્ચા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શિક્ષકશ્રીઓ તેમજ વ્હાલા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે જોડાઈને કાર્યક્રમને સફળતા અપાવવામાં સહકાર આપ્યો હતો.