રાજ્ય સરકારના સનદી અધિકારીઓએ એકતાનગર ખાતે સાયકલિંગ થકી દિવસની શરૂઆત કરી ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશ આપ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ખલવાણી ખાતે ગિરીકંદરાઓ વચ્ચે ખળ-ખળ વહેતી નદીમાં રિવર રાફ્ટિંગ કરી એડવેન્ચરનો આનંદ માણતા સનદી અધિકારીઓ

એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાઈ રહેલી દસમી ચિંતન શિબિરના બીજા દિવસે સવારે રાજ્ય સરકારના વરિષ્ઠ સનદી અધિકારીઓએ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સાયકલિંગ સાથે દિવસની શરૂઆત કરી ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશ આપ્યો હતો. સાથે અધિકારીઓએ ફ્લેમ ઓફ ફોરેસ્ટ તરીકે ઓળખાતા કેસૂડા વનમાં વોકિંગ કરી પ્રકૃત્તિને નજીકથી નિહાળી હતી અને ત્રણ રાજ્યોની તરસ છીપાવતી, જળ વ્યવસ્થાપન અને ઈજનેરી કૌશલ્યના જીવંત ઉદાહરણ સમાન વિશાળ નેટવર્ક ધરાવતી નર્મદા કેનાલના ઝીરો પોઈન્ટને નિહાળી અભિભૂત થયા હતા. આ સમગ્ર રૂટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસિસ્ટન્ટ પી.આર.ઓ. સરલ પટેલની આગેવાનીમાં તેમની ગાઈડ ટીમ દ્વારા અધિકારીશ્રીઓને માહિતગાર કરાયા હતા.
અન્ય અધિકારીઓએ ખલવાણી કેમ્પ સાઈટ ખાતે ગિરીકંદરાઓ વચ્ચે ખળ-ખળ વહેતી નદીમાં રિવર રાફ્ટિંગ કરી એડવેન્ચરનો આનંદ માણ્યો હતો. સમગ્ર દેશનું પ્રવાસન કેન્દ્ર બિંદુ બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને આસપાસના આકર્ષણ કેન્દ્રો ખરેખર પ્રવાસીઓને આકર્ષે છે અને એક સંપૂર્ણ પ્રવાસન સ્થળની અનુભૂતિ કરાવે છે એમ સૌ અધિકારીઓએ એકસૂરે અભિપ્રાય આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here