રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
રાજપીપલા અને વડોદરા રોજગાર કચેરી દ્વારા રોજગાર લક્ષી અને વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ સરકારી વિનયન કોલેજ દેડીયાપાડા ખાતે જિલ્લા રોજગાર કચેરી, નર્મદા અને વડોદરાના સંયુક્ત ઉપક્રમે કોલેજ દેડીયાપાડાના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં જિલ્લા રોજગાર વિનિમય અઘિકારી એમ.એસ.પટેલ અને દેડિયાપાડા સરકારી વિનયન કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતી અનીલાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
જિલ્લા રોજગાર કચેરી, નર્મદાના કેરિયર કાઉન્સિલર સુશ્રી કૃષિકા વસાવાએ સેમિનારમાં કેરિયર ગાઇડન્સ અંગે વિડીયો ફિલ્મના પ્રદર્શન થકી કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કારકિર્દી બાબતે કેરિયર કાઉન્સિલિંગ અંગે અગત્ય બાબતોની માહિતી આપી, તે અંગે જરૂરી અને ઉપયોગી મુદ્દાઓ અંગે વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. તેની સાથોસાથ વડોદરા રોજગાર કચેરીના કાઉન્સલર સુશ્રી અંજના પટેલે યુવાધનને પાસપોર્ટ, વિઝા અને વિદેશના અભ્યાસ અને રોજગારીની કેટલી અને કેવી રીતે તકો ઉપલબ્ધ છે. તેની વિસ્તૃત માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સેમિનારમાં કોલેજના ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.