નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વઘેલી ગામે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા, વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્રનું વિતરણ સ્થળ પરજ આરોગ્ય સેવાનો લોકોએ લાભ લીધો

તિલકવાડા તાલુકાના વઘેલી ગામે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ યાત્રાનો રથ વઘેલી ગામે આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારત નિર્માણના સંકલ્પ અંગે સૌએ સામુહિક શપથ લીધા હતા.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા જણાવ્યુ હતું કે, સરકારની ૧૭ જેટલી લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારી છેવાડાના વિસ્તારના લોકોના સુખાકારીમાં વધારો કરી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ આવવા સૌ નાગરિકોને હાકલ કરી હતી. સરકારશ્રીની યોજનાનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. આ યાત્રા હવે અંતિમ તબક્કાના પડાવમાં પહોંચી છે અને લોકોને માહિતી જગૃતિ સંદેશ અને વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાલ મોદીએ ૨૦૧૪ થી શાસનધૂળા સંભાળી છે ત્યારથી દેશના સૌ નાગરિકોને યોજના થકી છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસો આ યાત્રાના માધ્યમથી સરકાર લોકોના આંગણે આવી યોજનાઓની જાણકારી આપી લાભાન્વિત કરી રહી છે.

વધુમાં ધારાસભ્યએ ઉમેર્યું કે, ગામડામાં રહેતા લોકો શિક્ષણ અને આરોગ્યની સુવિધાથી સંપન્ન થાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે પોતાની આવક બમણી કરી શકે અને સમાજનું ઉત્થાન થાય તે માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, ઉજ્જવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, મફત અન્ન યોજના વધુ પાંચ વર્ષ લંબાવીને ગરીબોને ભોજનની ગેરંટી આપી છે. કિસાન સન્માન નિધિ, બાલસખા યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, નેનો ટેક્નોલોજી દ્વારા યુરિયાનો છંટકાવ તેમાં ડ્રોનનો ઉપયોગ કરીને બહેનોને ખાસ તાલીમ આપી ડ્રોન દીદી બનાવવાની યોજના અમલમાં મુકી છે. નલ સે જલ યોજના, વનધન યોજના થકી દેશનો વિકાસ કરી શકાય તે દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીનની સરકાર છે, ત્યારે આપણે પણ સરકારશ્રીની યોજનાઓની જાણકારી ગામલોકોને આપી લાભ લેવા તેમને પ્રેરિત કરી આંગળી ચિધ્યાંનું પૂણ્ય કરવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ,અધિકારીઓને અનુરોધ કર્યો હતો. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશના નાગરિક તરીકેની ભૂમિકા ભજવી દેશને દુનિયાની મહાસત્તાના સ્થાને લઈ જવા ૨૦૪૭ માં સહયોગી બનવા સૌને અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરપંચશ્રીને અભિલેખા પત્ર એનાયત કર્યું હતું. ઉપરાંત, વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું.

વઘેલી ગામની પ્રાથમિક શાળાના બાળકોએ ધરતી કરે પુકાર અંતર્ગત પ્રાકૃતિક ખેતીને અપનાવવા અને ધરતીને વિવિધ રસાયણોથી થતા નુકસાનને દૂર કરવા અંગે નુક્કડ નાટક થકી પ્રેરક સંદેશો આપ્યો હતો. અને સુંદર સ્વાગતગીત રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા. આંગણવાડી વર્કર બહેનોએ મિલેટમાંથી તૈયાર કરેલી વાનગીઓ તેમજ મિલેટ ધાન્યનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રધ્ધાબેન બારીયાએ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી યાત્રાની સરાહના કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. અગ્રણી વિક્રમભાઇ તડવીએ નર્મદા જિલ્લાની ૨૨૨ ગ્રામ પંચાયતોને આવરી લઇ આ કાર્યક્રમ હવે તેના પૂર્ણતાને આરે છે, ત્યારે સૌ ગ્રામજનો આ યાત્રામાં પહોંચે સરકાર તમારે આંગણે આવી છે. ત્યારે બાકી રહી ગયેલા લોકોએ આ યોજનાઓનો લાભ ઉઠાવે તેવી અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમજીભાઇ ભીલ, ગામના સરપંચ તથા માજી સરપંચ હિમ્મતભાઇ બારીયા, તાલુકા અગ્રણી બાલુભાઇ બારિયા, નાયબ માહિતી નિયામક અરવિંદભાઇ મછાર, તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવા, તાલુકા હેલ્થ ઓફિસર સહિત અધિકારીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here