છોટાઉદેપુર, સકીલ બલોચ :-
વિવિધ સ્થળોએ થયેલી સફાઇ ઝૂંબેશમાં સામાન્ય નાગરિકોએ પણ શ્રમદાન કર્યું
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રવિવારે છોટાઉદેપુરમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોની ગ્રામજનોના સહયોગથી સાફ સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ છોટાઉદેપુર શહેરમાં ૪ સ્થળોએ સફાઇ કામગીરી કરી કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુરના મહાકાળી મંદિર પરિસર, ગાયત્રી મંદિર વિસ્તાર, જાગનાથ મહાદેવ મંદિર, તેમજ શહેરની મધ્યમાં આવેલા નાના મંદિરો આસપાસ આજે સફાઈ કરવામાં આવી હતી.
શહેરને કચરા મુક્ત કરવાની સાથે પ્લાસ્ટીકનો ઉપયોગ પણ નહિવત થાય તે માટે કેટલીક દુકાનો પર છાપો મારીને પ્લાસ્ટિકના ઝબલા થેલી નો ગેરકાયદેસર જથ્થો પકડી પાડયો હતો તેમજ લોકોને પ્લાસ્ટિકની થેલીઓ નો ઉપયોગ ન કરવા અનુરોધ કરાયો હતો.
છોટાઉદેપુરમાં સતત ત્રીજા રવિવારે શહેરને કચરા રહિત બનાવવાની નેમ સાથે જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી સમગ્ર ગુજરાતની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતની સાથે નાગરિકો પણ સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા ફતેપુરાની ફોરેસ્ટ નર્સરી, ફોરેસ્ટ કવાત્રનું કમ્પાઉન્ડ અને આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી હતી.